Bible App logo
Search Icon

નિર્ગમન 21

21
દાસી-દાસીઓ અને ચાકરો પ્રત્યેના વર્તાવ વિષે
1“અને તારે જે કાનૂનો તેઓની આગળ રજૂ કરવા તે આ છે: 2#(આખો વિભાગ): લે. ૨૫:૩૯-૪૬. જો તું કોઈ હિબ્રૂ દાસ ખરીદે, તો તે છ વર્ષ સુધી ચાકરી કરે; અને સાતમે વર્ષે તે એમ ને એમ છૂટી જાય. 3અને જો તે છડો આવ્યો હોય, તો તે છડો છૂટે. જો તે પરણેલો આવ્યો હોય, તો તેની સાથે તેની પત્ની પણ છૂટે. 4અને જો તેના શેઠે તેને પત્ની કરાવી આપી હોય, ને જો તેને પેટે તેને પુત્રો કે પુત્રીઓ થયાં હોય; તો તે સ્‍ત્રી તથા તેનાં છોકરાં તેના શેઠનાં થાય, ને પેલો એકલો છૂટે. 5પણ જો તે દાસ સ્પષ્ટ કહે, ‘હું મારા શેઠને તથા મારી પત્નીને તથા મારાં છોકરાંને ચાહું છું; મારે તો છૂટવું નથી.’ 6તો તેનો શેઠ તેને ન્યાયાધીશોની રૂબરૂ લઈ જાય, ને તે તેને દ્વાર પાસે કે બારસાખ પાસે લાવે; અને તેનો શેઠ તેનો કાન આરથી વીંધે; એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય.
7અને જો કોઈ માણસ પોતાની દીકરીને દાસી થવા માટે વેચે, તો દાસોની પેઠે તે ન છૂટે. 8જે માણસે તેને રાખી હોય તેને જો તે ન ગમે, તો તે તેનું મૂલ્ય લઈને તેને છૂટી થવા દે. પારકા લોકોને ત્યાં તેને વેચવાની સત્તા તેને નથી, કેમ કે તેણે તેની પ્રત્યે ઠગાઈ કરી છે. 9અને જો તે તેના દીકરાને માટે તેને રાખે, તો તે તેની પ્રત્યે પોતાની પુત્રીઓની જેમ વર્તે. 10જો તે બીજીને રાખે, તો તે તેની ખોરાકીપોષાકી તથા લગ્નહકમાંથી કંઈ ઘટડો ન કરે. 11અને જો તે તેની પ્રત્યે એ ત્રણ [ફરજો] અદા ન કરે, તો તે મફત એટલે વિના મૂલ્યે છૂટી જાય.
આવેશી હુમલાનાં કાર્યો માટે નિયમો
12 # લે. ૨૪:૧૭. જે કોઈ માણસને મારીને તેનું મોત નિપજાવે, તે નિશ્ચે માર્યો જાય. 13પણ લાગ તાકીને જો કોઈ છુપાઈ રહ્યો ન હોય, પણ તેના હાથમાં ઈશ્વર [કોઇને] સોંપે, તો #ગણ. ૩૫:૧૦-૩૪; પુન. ૧૯:૧-૧૩; યહો. ૨૦:૧-૯. તેને નાસી જવા માટે એક જગા હું તારે માટે ઠરાવીશ. 14અને જો કોઈ માણસ જાણીજોઈને પોતાના પડોશી પર ઘસી પડીને તેને કપટથી મારી નાખે; તો એવાને મારી વેદી આગળથી પણ કાઢીને મારી નાખવો.
15અને જે કોઈ પોતાના પિતા ને કે પોતાની માતાને મારે, તે નક્કી માર્યો જાય.
16અને #પુન. ૨૪:૭. જે કોઈ ચોરીથી મનુષ્યહરણ કરીને તેને વેચે, અથવા જો એ તેના કબજામાં મળી આવે, તો તે નક્કી માર્યો જાય.
17અને #લે. ૨૦:૯; માથ. ૧૫:૪; માર્ક ૭:૧૦. જે કોઈ પોતાના પિતાને કે પોતાની માતાને શાપ દે તે નક્‍કી માર્યો જાય.
18અને જો કોઈ માણસો ઝઘડો કરતા હોય, ને એક જણ બીજાને પથ્થરથી કે મુક્‍કીથી એવો મારે કે તે મરી જાય નહિ પણ ખાટલે પડે; 19અને જો તે પાછો ઊઠે ને લાકડીએ ટેકીને હરીફરી શેક, તો તેને મારનાર છૂટી જાય. ફક્ત એ તેના વખતની નુકસાની ભરી આપે, ને તેને પૂરેપૂરો સાજો કરાવી આપે.
20અને જો કોઈ પોતાના દાસને કે પોતાની દાસીને લાકડીથી મારીને તેને ઠેર મારી નાખે, તો તેને નક્‍કી શિક્ષા થાય. 21પણ જો તે એક બે દિવસ જીવતું રહે, તો એને શિક્ષા ન થાય; કેમ કે તે તેની પોતાની સંપત છે. 22અને જો માણસો એકબીજા સાથે લડતાં કોઈ ગર્ભપાત નીપજે, પણ પાછળથી બીજું કંઈ નુકશાન ન થાય; તો તે સ્‍ત્રીનો ધણી તેને માથે ઠરાવે એટલો દંડ તેને આપવો પડશે; અને ન્યાયાધીશો ઠરાવે તે પ્રમાણે તે આપે. 23પણ જો પછીથી બીજું કંઈ નુકસાન થાય તો તારે જીવને બદલે જીવ, 24#લે. ૨૪:૧૯-૨૦; પુન. ૧૯:૨૧; માથ. ૫:૩૮. આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ, 25બાળવાને બદલે બાળવું, ધાને બદલે ઘા, ફટકાને બદલે ફટકો, ભરી આપવાં.
26અને જો કોઈ માણસ પોતાના ચાકરને આંખ પર કે પોતાની ચાકરડીને આંખ પર મારીને તે ફોડી નાખે, તો તેની આંખની ખાતર તે તેને છોડી દે. 27અને જો તે પોતાના ચાકરનો દાંત કે પોતાની ચાકરડીનો દાંત ભાંગી નાખે, તો તેના દાંતની ખાતર તે તેને છોડી દે.
માલિકની જવાબદારી
28અને જો કોઈ બળદ કોઈ પુરુષને કે કોઈ સ્‍ત્રીને શિંગડું મારીને તેનું મોત નિપજાવે, તો તે બળદને નક્‍કી પથ્થરે મારવો, ને તેનું માંસ ન ખાવું; પણ બળદનો માલિક નિર્દોષ ઠરે. 29પણ જો તે બળદને પહેલાંથી શિંગડું મારવાની ટેવ હોય, ને તેના માલિકને તેની ખબર હોય, તેમ છતાં તેણે માલિકને તેની ખબર હોય, તેમ છતાં તેણે તેને કબજે રાખ્યો ન હોય, ને તેથી તેણે કોઈ પુરુષનો અથવા સ્‍ત્રીનો જીવ લીધો હોય; તો તે બળદ પથ્થરે માર્યો જાય. 30અને જો તેને માથે મૂલ્ય ઠરાવવામાં આવે, તો તેના જીવને સાટે જે મૂલ્ય તેને માથે ઠરાવવામાં આવે તે તે ભરી આપે. 31તેણે કોઈના દીકરાને શિંગડું માર્યું હોય, કે કોઈની દીકરીને શિગડું માર્યું હોય, તોપણ આ કાનૂન પ્રમાણે તેના પર અમલ કરવો. 32જો તે બળદ કોઈના ચાકરને કે કોઈની ચાકરડીને શિંગડું મારે; તો [તેનો માલિક] તેમના શેઠને ત્રીસ શેકેલ રૂપું ભરી આપે, ને તે બળદ પથ્થરે મરાય.
33અને જો કોઈ માણસ કોઈ ખાડો ખોદે, અથવા જો કોઈ માણસ ખાડો ખોદીને તેને ઢાંકે નહિ, ને તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડી જાય, 34તો ખાડાનો માલિક તે [નું મૂલ્ય] ભરી આપે; તે તેમના માલિકને પૈસા આપે, ને મૂએલું [જાનવર] તેનું થાય.
35અને જો કોઈ માણસનો બળદ બીજાના બળદને મારીને મારી નાખે; તો તેઓ જીવતા બળદને વેચીને તેની કિંમત વહેંચી લે, ને મરેલાને પણ તેઓ વહેંચી લે. 36અથવા પોતાના બળદને અગાઉથી મારવાની ટેવ છે એવી ખબર તેના માલિકને હોવા છતાં, જો તેણે તેને કબજે રાખ્યો ન હોય; તો તે બળદને બદલે બળદ નક્કી આપે, ને મરેલું [જાનવર] તેનું થાય.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in