Bible App logo
Search Icon

નિર્ગમન 22

22
વળતર ચૂકવવા બાબતે નિયમો
1“જો કોઈ માણસ કોઈ બળદ કે ઘેટું ચોરીને તેને કાપે અથવા તેને વેચી દે, તો તે એક બળદને બદલે પાંચ બળદ ને એક ઘેટાંને બદલે ચાર ઘેટાં આપે. 2જો કોઈ ચોર ખાતર પાડતાં પકડાઈ જઈને એવો માર ખાય કે તે મરી જાય, તો તે ખૂન કર્યું ગણાય નહિ. 3જો સૂર્ય ઊગ્યા પછી તેને [મારે] તો તેને ખૂનનો દોષ લાગે. ચોરેલા માલની નુકસાની [ચોર] ભરી આપે; અને જો તે છેક કંગાલ હોય, તો તેની ચોરીને લીધે તે વેચાઈ જાય. 4જો ચોરેલી વસ્‍તુ તેના કબજામાં જીવતી મળી આવે, પછી તે બળદ હોય, કે ગધેડું હોય, કે ઘેટું હોય, તો તે બમણું ભરી આપે.
5જો કોઈ માણસ કોઈ ખેતર કે દ્રાક્ષાવાડી ભેલાડી દે, એટલે તેમાં પોતાનું ઢોર છૂટું મૂકે ને તે બીજાનું ખેતર ચરી ખાય; તો તે પોતાના ખેતરની ઉત્તમ પેદાશમાંથી તથા પોતાની દ્રાક્ષાવાડીની ઉત્તમ ઊપજમાંથી સામાને નુકસાની ભરી આપે.
6જો આગ સળગી ઊઠીને ઝાંખરાંને ઝડપે, ને તેથી કોઈના અનાજના ઓઘા, અથવા ઊભો પાક, અથવા ખેતર બળી જાય; તો આગ સળગાવનાર નક્કી નુકસાની ભરી આપે.
7જો કોઈ માણસ પોતાના પડોશીને પૈસા કે મિલકત થાપણ રાખવાને સોપેં, ને તે માણસને ઘેરથી તે ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તે બમણું ભરી આપે. 8ચોર ન પકડાય તો પોતે પોતાના પડોશીના માલ પર હાથ માર્યો છે કે નહિ [તેના નિર્ણય માટે] તે ધરધણી ન્યાયાધીશો આગળ રજૂ થાય. 9બળદ વિષે કે ગધેડા વિષે કે ઘેટા વિષે કે વસ્‍ત્ર વિષે કે કોઈ ખોવાએલી વસ્‍તુ, જેના વિષે કોઈ એવું કહે કે આ તે જ વસ્‍તુ, જેના વિષે કોઈ એવું કહે કે આ તે જ વસ્તુ છે, તે વિષેના ગુનાની પ્રત્યેક બાબતમાં બન્‍ને પક્ષની તકરાર ન્યાયાધીશોની રૂબરૂ રજૂ થાય; અને ન્યાયાધીશો જેને ગુનેગાર ઠરાવે તે પોતાના પડોશીને બમણું ભરી આપે.
10જો કોઈ માણસ પોતાના પડોશીને ત્યાં સાચવવા માટે ગધેડું કે બળદ કે ઘેટું કે કોઈપણ જાનવર સોંપે; અને તે મરી જાય કે તેને કંઈ નુકસઅન થાય, કે કોઈના ન દેખતાં કોઈ તેને હાંકી જાય; 11તો તે બન્‍ને માણસ યહોવાના સમ ખાય, કે મેં મારા પડોશીની વસ્‍તુને હાથ અડકાડયો નથી; એટલે તેનો માલિક તે કબૂલ રાખે, ને પડોશી નુકસાની ભરી આપે નહિ. 12પણ જો તે તેની પાસેથી ચોરાઈ જાય, તો તે તેના માલિકને તેની નુકસાની ભરી આપે. 13જો તેને ફાડી ખાવામાં આવ્યું હોય તો તે તેને પુરાવા તરીકે રજૂ કરે; ફાડી નંખાયેલાને માટે તે નુકસાની ભરી આપે નહિ.
14અને જો કોઈ માણસ પોતાના પડોશીની પાસેથી કંઈ માગી લે, ને તેનો માલિક તેની સાથે ન હોય એટલામાં તેને નુકસાન થાય અથવા તે મરી જાય, તો તે નક્કી નુકસાની ભરી આપે. 15જો તેનો માલિક તેની સાથે હોય, તો તે નુકસાની ભરી આપે નહિ. જો તે ભાડે લાવવામાં આવ્યું હોય, તો ભાડામાં તે વળી ગયું [સમજવું].
નૈતિક અને ધાર્મિક નિયમો
16અને જો કોઈ માણસ સગાઈ કર્યા વગરની કુમારિકાને લલચાવીને તેની સાથે કુકર્મ કરે, તો તે તેને પલ્લું આપીને પરણે. 17જો તેનો પિતા તેને તેની સાથે પરણાવવાને ઇનકાર કરે, તો કુમારિકાના પલ્લા પ્રમાણે તે પૈસા ભરી આપે.
18તું જાદુગરેણને જીવતી રહેવા ન દે.
19જાનવરની સાથે જે કોઈ કુકર્મ કરે તે નક્કી માર્યો જાય.
20એકલા યહોવા વિના બીજા કોઈ દેવને યજ્ઞ કરનારાનો પૂરો સંહાર કરાય. 21અને તું પરદેશીને હેરાન ન કર, ને તેના પર જુલમ ન કર; કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા. 22તમે કોઈ વિધવાને કે અનાથ છોકરાને દુ:ખ ન દો. 23જો તું તેઓને કોઈ પણ પ્રકારે દુ:ખ દે, ને જો તેઓ મને જરા પણ પોકારશે, તો હું નક્કી તેમનો પોકાર સાંભળીશ; 24અને મારો ક્રોધ તપી ઊઠશે, ને હું તમને તરવારથી મારી નાખીશ. અને તમારી પત્નીઓ વિધવાઓ તથા તમારાં છોકરાં અનાથ થશે.
25તારી સાથેના મારા લોકોમાંના કોઈ ગરીબને જો તું પૈસા ધીરે, તો તું તેની પ્રત્યે લેણદાર જેવો ન થા, ને તેને માથે તું વયાજ ન ચઢાવ. 26જો તું કદી તારા પડોશીનું વસ્‍ત્ર ગીરો રાખે, તો સૂર્યાસ્ત થયા અગાઉ તે તેને પાછું આપવું; 27કેમ કે તેને ઓઢવાનું તે એટલું એ જ છે, ને તે તેનું અંગ ઢાંકવાનું વસ્‍ત્ર છે, તે બીજું શું ઓઢીને સૂએ? અને તે મને પોકારશે તો એમ થશે કે હું તેનું સાંભળીશ; કેમ કે હું કૃપાળુ છું.
28ન્યાયાધીશોની નિંદા ન કર, ને તારા લોકોના કોઈ અધિકારીને શાપ ન દે. 29તારી ઊપજ તથા તારા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરતાં ઢીલ ન કર. તારો જયેષ્ઠ પુત્ર મને આપ. 30તારા બળદ તથા તારાં ઘેટાં વિષે પણ તું એમ જ કર. સાત દિવસ તે પોતાની માતાની સાથે રહે, આઠમે દિવસે તે તું મને આપ. 31અને તમે મારા પવિત્ર માણસો થાઓ; માટે વનમાં જાનવરે ફાડી ખાધેલાંનું માંસ તમે ન ખાઓ; તે કૂતરાંને નાખી દો.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in