YouVersion Logo
Search Icon

માથ્થી 5

5
ગિરિપ્રવચન ની પ્રસ્તાવના
1હવે જયારે ઈસુએ મોટો જનસમુદાય જોયો, ત્યારે તેઓ પર્વત પર ગયા અને બેઠા, તેમના શિષ્યો તેમની પાસે આવ્યા 2ને તેઓ તેમને શિક્ષણ આપવાં લાગ્યા.
આશીર્વાદિત કોણ
તેમણે કહ્યું:
3“આત્મામાં જેઓ રાંક છે તેઓ આશીર્વાદિત છે,
કારણ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
4જેઓ શોક કરે છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓને દિલાસો મળશે.
5જેઓ નમ્ર છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે પૃથ્વીનો વારસો તેઓને મળશે.
6જેઓ ન્યાયીપણા માટે ભૂખ્યા અને તરસ્યા છે તેઓ આશીવાઁદિત છે,
કેમકે તેઓ ધરાશે,
7જેઓ, દયાળુ છે તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.
8જેઓનાં હૃદય શુદ્ધ છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓ ઈશ્વરને જોશે.
9જેઓ સલાહ કરાવનારાં છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓ ઈશ્વરના પુત્રો કહેવાશે.
10ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી થાય છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
11“જયારે લોકો તમારી નિંદા કરે, તમારી સતાવણી કરે અને મારે લીધે તમારી વિરુદ્ધ દરેક પ્રકારની જૂઠી વાતો અસત્યતાથી કહે, ત્યારે તમે આશીર્વાદિત છો. 12આનંદ કરો અને હરખાઓ, કારણ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે, તમારી અગાઉના પ્રબોધકોની પણ એવી જ સતાવણી થઈ હતી.
મીઠું અને પ્રકાશ
13“તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું પોતાની ખારાશ ગુમાવે તો તે ફરી કેવી રીતે ખારું કરાશે? બહાર ફેંકી દેવા સિવાય અને પગ તળે કચડાવા સિવાય. તે કોઈ પણ પ્રકારે સારું નથી.
14“તમે જગતનો પ્રકાશ છો. પર્વત પર બાંધેલું નગર છૂપું રહી શક્તું નથી. 15લોકો દીવો સળગાવીને તેને વાટકા નીચે મુકતા નથી, તેના બદલે તેઓ તેને તેના સ્ટેન્ડ પર મુકે છે, અને તે ઘરમાંના બધાને અજવાળું આપે છે. 16તેવીજ રીતે તમારો પ્રકાશ લોકોની આગળ એવો પ્રકાશવાં દો જેથી તેઓ તમારાંં સદાચરણો જોઈને સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતાનો મહિમા કરે.
નિયમશાસ્ત્રની પરિપૂણઁતા
17“એવું ન વિચારો કે હું નિયમો અને પ્રબોધકોને નાબૂદ કરવા આવ્યો છું; હું તેઓને નાબૂદ કરવા નહિ પણ તેઓને પરિપૂર્ણ કરવા આવ્યો છું. 18હું સાચે જ કહું છું: કે આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્ર માંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહિ. 19એ માટે જો કોઈ માણસ સૌથી નાનામાં નાની આજ્ઞાને બાજુ પર મુકશે અને બીજાઓને એવું કરતા શીખવશે, તો તે સ્વર્ગીય રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પરંતુ, જેઓ ઈશ્વરના નિયમોને પાળશે ને શિખવશે તેઓ સ્વર્ગના રાજ્યમાં મહાન કહેવાશે. 20હું તમને કહું છું: કે તમારું ન્યાયીપણું ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો કરતાં ચઢીયાતું નહિ હોય તો તમે સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશી શકવાનાં જ નથી.
ખૂન
21“પ્રાચિનકાળમાં લોકોને કહેલું હતુ એ તમે સાંભળ્યું છે, ‘તું ખૂન ન કર, અને જે કોઈ ખૂન કરશે ન્યાયને પાત્ર થશે.’ 22પરંતુ હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ કે બહેન પર ક્રોધ કરશે, તે ન્યાયને પાત્ર થશે. ફરીથી જો કોઈ ભાઈ તથા બહેનને પાજી કહે છે તે કોટઁનો જવાબદાર છે, અને ‘જે કોઈ કહે તું મૂઁખ છે!’ તે નરકાગ્નિના જોખમમાં આવશે.
23“એ માટે, જો તું તારું અર્પણ વેદી આગળ લાવે ત્યાં તને યાદ આવે કે તમારાં ભાઈ તથા બહેનને તમારી વિરુદ્ધ કાંઈ છે, 24તો તારું અર્પણ ત્યાં જ વેદી આગળ રહેવા દે, પહેલાં જઈને તેની સાથે સમાધાન કર, પછી આવીને તારું અર્પણ ચઢાવ.
25“જે તમને કોર્ટમાં લઈ જાય તે તમારાંં વિરોધીની સાથે જલદી સમાધાન કરી લો, તમે હજુ રસ્તામાં સાથે હો ત્યારે તે કરો, અને તમારો વિરોધી તમને ન્યાયાઘીશ ને સોંપી દે અને ન્યાયાઘીશ તમને અધિકારીના હાથમાં સોંપી દે અને તમને જેલમાં પૂરી દેવામાં આવે. 26હું તમને સાચે જ કહું છું કે છેલ્લો દંડ પૂરેપૂરો ચૂકવશો નહિ ત્યાં સુધી તું બહાર નહિ આવે.
વ્યભિચાર વિષે
27“જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે કે ‘તું વ્યભિચાર ન કર.’ 28પરંતુ હું કહું છું કે, જે કોઈ સ્ત્રી તરફ કુદ્રષ્ટી કરે છે, તો તેણે તે સ્ત્રી સાથે તેના મનમાં વ્યભિચાર કરી ચૂકયો છે. 29જો તમારી જમણી આંખ તમને ઠોકર ખવડાવે, તો તેને કાઢીને દૂર ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં નંખાવવા કરતાં શરીરનું એક અંગ ગુમાવવું તમારે માટે વધારે સારું છે. 30અને જો તમારો જમણો હાથ તમને ઠોકર ખવડાવે તો, તેને કાપીને દૂર ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં નંખાય એના કરતાં શરીરનું એક અંગ ગુમાવવું તમારે માટે વધારે સારું છે.
છૂટાછેડા વિષે
31“એમ કહેવામાં આવ્યું છે કે: ‘જો કોઈ તેની પત્નીને છૂટાછેડા આપે છે, તો તેને છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપવું જોઈએ.’ 32પરંતુ હું કહું છું કે, જે કોઈ પોતાની પત્નીને વ્યભિચારના કારણ વગર છૂટાછેડા આપે છે, તે તેને વ્યભિચાર કરાવવામાં કારણભૂત બને છે, અને જે કોઈ છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તે વ્યભિચાર કરે છે.
સમ ખાવા વિષે
33“વળી, ઘણા સમય પેહેલા લોકોને કહેલું હતુ, એ તમે સાંભળ્યું છે કે: ‘તમારા સમ નો ભંગ કરશો નહિ, પરંતુ પ્રભુ પ્રત્યે તમારા સમ પુરા કરો.’ 34પણ હું તમને કહું છું કે તમારે કોઈ પણ સમ ન ખાવા: સ્વર્ગના પણ નહિ, કેમકે તે ઈશ્વરનું રાજ્યાસન છે; 35અને પૃથ્વીનાં નહિ, કારણ કે તે તેમનું પાયાસન છે; યરુશાલેમનાં નહિ, કારણ કે તે મહાન રાજાનું નગર છે. 36તમારાં માથાનાં સમ ન ખાવ, કારણ કે તમારાંથી એક વાળને પણ કાળો કે ધોળો કરી શકાતો નથી; 37તમારું બોલવું તે હા કે ના હોય, તે કરતા અધિક જે કંઈ છે તે ભૂંડાઈ માંથી આવે છે.
આંખને બદલે આંખ
38“જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે કે: ‘આંખને બદલે આંખ, ને દાંત ને બદલે દાંત.’ 39પણ હું તમને કહું છું કે દુષ્ટ વ્યકિતની સામો ન થા, જો કોઈ, તમારાં જમણા ગાલ પર તમાચો મારે, તો તેની આગળ બીજો ગાલ પણ ધરો. 40જે કોઈ તમારું શટઁ છીનવી લેવાં માટે દાવો કરે તો તેને તમારો કોટ પણ આપી દો. 41જો કોઈ તમને બળજબરીથી એક કિલોમીટર લઈ જાય, તેની સાથે બે કિલોમીટર સુધી જાઓ. 42જેઓ, તમારી પાસે માગે તેમને આપો, અને જો કોઈ તારી પાસે ઉછીનું લેવાં આવે, તેમનાથી ન ફરો.
દુશ્મનો પ્રત્યે પ્રેમ
43“જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે કે: ‘તમે તમારા પડોશી પ્રત્યે પ્રેમ રાખો અને તમારા દુશ્મનોને ધિક્કારો.’ 44પણ હું તમને કહું છું કે તમારાં દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમારી સતાવણી કરે છે તેઓના માટે પ્રાર્થના કરો; 45જેથી તમે તમારાં સ્વર્ગમાંના પિતાનાં સંતાન થાવ, તે પોતાના સૂર્યને ભલા તથા ભૂંડા પર ઉગાવે છે. અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકલે છે. 46જો તમે તમારા પર પ્રેમ કરનારાઓને પ્રેમ કરો છો, તો તમને શું બદલો મળશે? શું કર વસૂલનારાઓ પણ એવુ નથી કરતા? 47અને જો તમે તમારા લોકોને જ સલામ કરો છો, તો તમે બીજાઓ કરતાં વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ શું એમ નથી કરતા? 48માટે જેમ તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેમ તમે સંપૂર્ણ થાઓ.”

Currently Selected:

માથ્થી 5: GCB

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in