YouVersion Logo
Search Icon

ગલાતીઓને પત્ર 3

3
વિશ્વાસનું મહત્વ
1ઓ અણસમજુ ગલાતીઓ, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલા સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યા હતા એમ છતાં તમને કોણે ભરમાવ્યા? 2તમારી પાસેથી હું એટલું જ જાણવા ચાહું છું કે, તમે નિયમની કરણીઓથી [પવિત્ર] આત્મા પામ્યા કે, વિશ્વાસથી સુવાર્તા સાંભળી તેથી પામ્યા? 3શું તમે એટલા બધા અણસમજુ છો? આત્મા વડે આરંભ કરીને શું હવે દેહ વડે સંપૂર્ણ થાઓ છો? 4શું તમે એટલાં બધાં સંકટ વૃથા સહ્યાં? જો કદાચ વૃથા હોય તો. 5વળી જે તમને [પવિત્ર] આત્મા આપે છે, અને તમારામાં ચમત્કારો કરે છે, તે શું નિયમની કરણીઓને લીધે કે [સુવાર્તા] સાંભળીને વિશ્વાસ કરવાને લીધે [કરે છે] ?
6એ પ્રમાણે #ઉત. ૧૫:૬; રોમ. ૪:૩. ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, અને એ [વિશ્વાસ] તેને લેખે ન્યાયીપણા તરીકે ગણાયો. 7માટે #રોમ. ૪:૧૬. તમારે એમ જાણવું કે જેઓ વિશ્વાસ કરનારા છે. તેઓ ઇબ્રાહિમના દીકરા છે. 8વળી ઈશ્વર વિશ્વાસથી વિદેશીઓને ન્યાયી ઠરાવશે, એ અગાઉથી જાણીને પવિત્રશાસ્‍ત્રે ઇબ્રાહિમને અગાઉથી સુવાર્તા પ્રગટ કરી, #ઉત. ૧૨:૩. “તારી મારફતે સર્વ પ્રજાઓ આશીર્વાદ પામશે.” 9એ માટે જેઓ વિશ્વાસ કરનારા છે, તેઓ વિશ્વાસુ ઇબ્રાહિમની સાથે આશીર્વાદ પામે છે.
10કેમ કે #પુન. ૨૭:૨૬. જેટલા નિયમની કરણીઓવાળા છે, તેટલા શાપ નીચે છે. કેમ કે એમ લખેલું છે, “નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.” 11તો નિયમથી ઈશ્વરની આગળ કોઈ પણ માણસ ન્યાયી ઠરતું નથી એ ખુલ્લું છે. કેમકે, #હબા. ૨:૪. “ન્યાયી વિશ્વાસથી જીવશે.” 12પણ નિયમ વિશ્વાસને આધારે નથી; પણ આવો છે, #લે. ૧૮:૫. “જે કોઈ તેમાંની [આજ્ઞાઓ] પાળશે, તે તેઓ વડે જીવશે.”
13ખ્રિસ્તે આપણી વતી શાપિત થઈને, નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે એમ લખેલું છે, #પુન. ૨૧:૨૩. “જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે.” 14એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં વિદેશીઓને મળે, અને આપણે [પવિત્ર] આત્મા વિષેનું વચન વિશ્વાસથી પામીએ.
નિયમશાસ્‍ત્ર અને વરદાન
15ભાઈઓ, હું માણસની રીત પ્રમાણે કહું છું કે, માણસનો કરાર પણ જો નકકી થયેલો હોય તો તેને કોઈ રદ કરતો નથી અથવા તેમાં વધારો કરતો નથી. 16હવે ઇબ્રાહિમને તથા તેના સંતાનને વચનો આપવામાં આવ્યાં હતાં. તેનાં સંતાનોને, જાણે ઘણાં વિષે [બોલતા હોય] એમ ઈશ્વર બોલતા નથી. પણ એક વિષે બોલતા હોય તેમ બોલે છે, #ઉત. ૧૨:૭. “તારા સંતાનને” એટલે તે ખ્રિસ્ત [વિષે બોલે છે.] 17હવે હું આ કહું છું કે, જે કરાર ઈશ્વરે અગાઉથી નકકી કરેલો હતો તેને #નિ. ૧૨:૪૦. ચારસો ત્રીસ વરસ પછી થયેલો નિયમ રદ કરીને તેમનું વચન વૃથા કરી શકતો નથી. 18કેમ કે #રોમ. ૪:૧૪. જો વારસો નિયમથી હોય, તો તે વચનથી નથી. પણ ઈશ્વરે વચનથી જ ઇબ્રાહિમને તે આપ્યો.
19તો નિયમ શા કામનો છે? જે સંતાનને વચન આપવામાં આવ્યું છે તે આવે ત્યાં સુધી તે [નિયમ] ઉલ્લંઘનોને લીધે આપવામાં આવ્યો હતો. અને તે મધ્યસ્થદ્વારા દૂતોની મારફતે ફરમાવેલો હતો. 20હવે મધ્યસ્થ તો માત્ર એકનો [મધ્યસ્થ] નથી; પણ ઈશ્વર તો એક છે.
નિયમશાસ્‍ત્ર આપવાનો હેતુ
21ત્યારે શું નિયમ ઈશ્વરનાં વચનોથી વિરુદ્ધ છે? કદી નહિ, કેમ કે જીવન આપી શકે એવો કોઈ નિયમ આપવામાં આવ્યો હોત, તો ખરેખર નિયમ [શાસ્‍ત્ર] થી ન્યાયીપણું મળત. 22પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી વિશ્વાસ કરનારાઓને વચન આપવામાં આવે, માટે પવિત્રશાસ્‍ત્રે બધાંને પાપને તાબે બંધ કર્યાં.
23પણ આ વિશ્વાસ આવ્યા પહેલાં, આપણે નિયમને આધીન રહીને, જે વિશ્વાસ પાછળથી પ્રગટ થનાર હતો, તેને અર્થે આપણને અંકુશમાં રાખવામાં આવ્યા હતા. 24આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ, માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા માટે નિયમશાસ્‍ત્ર આપણો બાળશિક્ષક હતો. 25પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળશિક્ષકના હાથ નીચે નથી.
26કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઈશ્વરના દીકરા છો. 27કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધા. 28માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્‍ત્રી કોઈ નથી; કેમ કે તમે બધાં ખ્રિસ્તમાં એક છો. 29અને જો તમે ખ્રિસ્તનાં છો, તો #રોમ. ૪:૧૩. તમો ઇબ્રાહિમનાં સંતાન, અને વચન પ્રમાણે વારસ પણ છો.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in