1 કરિં. 14
14
પવિત્ર આત્માનાં દાનો વિષે વધુ
1પ્રેમને અનુસરો; અને આત્મિક દાનો મેળવવાની અભિલાષા રાખો, વિશેષ કરીને તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો. 2કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે, બીજું કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ તે આત્મામાં મર્મો બોલે છે. 3જે પ્રબોધ કરે છે, તે ઉન્નતિ, સુબોધ તથા દિલાસાને માટે માણસો સાથે બોલે છે. 4જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે વિશ્વાસી સમુદાયની ઉન્નતિ કરે છે.
5મારી ઇચ્છા છે કે, તમે બધા અન્ય ભાષાઓ બોલો, પણ વિશેષ કરીને તમે પ્રબોધ સમજાવો એવી મારી ઇચ્છા છે. કેમ કે અન્ય ભાષાઓ બોલનાર, જો વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે ભાષાંતર કરે નહિ, તો તે કરતાં પ્રબોધ કરનારનું મહત્ત્વ વધારે છે. 6ભાઈઓ, તમારી વચ્ચે આવીને હું અન્ય ભાષાઓ બોલું પણ જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણથી ન બોલું તો તેનાથી તમને કશો લાભ નથી.
7એમ જ અવાજ કાઢનાર નિર્જીવ વાજિંત્રો, પછી તે વાંસળી હોય કે વીણા હોય પણ જો એમના સૂરમાં અલગતા આવે નહિ, તો વાંસળી કે વીણા એમાંથી શું વગાડે છે તે કેવી રીતે માલૂમ પડે? 8કેમ કે જો રણશિંગડું સ્પષ્ટ સૂર ન કાઢે, તો લડાઈ માટે કોણ સજ્જ થશે? 9એમ જ તમે પણ જો જીભ વડે સમજી શકાય એવા શબ્દો ના બોલો તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવા ગણાશો.
10દુનિયામાં ઘણી ભાષાઓ છે, તેઓમાંની કોઈ અર્થ વગરની નથી, 11એ માટે જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું, તો બોલનારની સમક્ષ હું પરદેશી જેવો અને બોલનાર મારી આગળ પરદેશી જેવો થશે.
12એ પ્રમાણે તમે આત્માનાં દાનો ઇચ્છો છો, તે ઝનૂનથી શોધો અને વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે તમે તેમાં વૃદ્ધિ પામવા પ્રયાસ કરો. 13તે માટે અન્ય ભાષા બોલનારે પોતે ભાષાંતર કરી શકે, એવી પ્રાર્થના કરવી. 14કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પણ મારું મન નિષ્ક્રિય રહે છે.
15તો શું? હું આત્માથી પ્રાર્થના કરીશ અને મનથી પણ પ્રાર્થના કરીશ, આત્માથી ગાઈશ અને મનથી પણ ગાઈશ. 16નહિ તો જો તું આત્માથી સ્તુતિ કરીશ તો ત્યાં જે ઓછી સમજવાળો માણસ બેઠેલો છે તે તારી સ્તુતિ સાંભળીને આમીન કેવી રીતે કહેશે? કેમ કે તું શું બોલે છે એ તે સમજતો નથી.
17કેમ કે તું સારી રીતે સ્તુતિ કરે છે ખરો; પણ તેથી અન્યોની ઉન્નતિ થતી નથી. 18હું ઈશ્વરનો આભાર માનું છું, કે તમારા સર્વનાં કરતાં મને વધારે ભાષાઓ બોલતાં આવડે છે. 19તોપણ વિશ્વાસી સમુદાયમાં અન્ય ભાષામાં દસ હજાર શબ્દ બોલવા કરતાં બીજાઓને શીખવવા પોતાની સમજશક્તિથી માત્ર પાંચ શબ્દો બોલવાનું હું વધારે પસંદ કરું છું.
20ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ; પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પુખ્ત થાઓ. 21નિયમશાસ્ત્રમાં લખ્યું છે કે, ‘અન્ય ભાષાઓથી તથા અજાણી પ્રજાઓના હોઠોથી હું આ લોકોની સાથે બોલીશ, તોપણ તેઓ મારું સાંભળશે નહીં,’ એમ પ્રભુ કહે છે.
22એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહિ, પણ અવિશ્વાસીઓને માટે નિશાનીરૂપ છે. અને પ્રબોધ અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને માટે ચિહ્નરૂપ છે. 23માટે જો આખો વિશ્વાસી સમુદાય એકઠો મળે, અને બધા જ અન્ય ભાષાઓમાં બોલે અને જો કેટલાક ઓછી સમજવાળા તથા અવિશ્વાસીઓ ત્યાં આવે તો શું તેઓ કહેશે નહિ, કે તમે પાગલ છો?
24પણ જો સર્વ પ્રબોધ કરે અને કોઈ અવિશ્વાસી કે અણસમજુ અંદર આવે તો બધાથી તેને શિખામણ મળે છે; બધાથી તે પરખાય છે; 25અને તેના હૃદયની ગુપ્ત બાબતો પ્રગટ કરાય છે; વળી ખરેખર ઈશ્વર તમારામાં છે એવું કબૂલ કરીને, તે ઘૂંટણે પડીને ઈશ્વરનું ભજન કરશે.
મંડળીમાં વ્યવસ્થા
26ભાઈઓ તથા બહેનો જયારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાંના કોઈ ગીત ગાય છે, કોઈ પ્રકટીકરણ કરે છે, કોઈ અન્ય ભાષા બોલે છે કોઈ તેનો અર્થ સમજાવે છે; આ બધું ઉન્નતિને માટે થવું જોઈએ. 27જો કોઈ અન્ય ભાષા બોલે, તો બે અથવા વધારેમાં વધારે ત્રણ માણસ વારાફરતી બોલે છે; અને એક જેણે ભાષાંતર કરવું. 28પણ જો ભાષાંતર કરનાર ન હોય તો વિશ્વાસી સમુદાયમાં તેણે છાના રહેવું અને માત્ર પોતાની તથા ઈશ્વરની સાથે બોલવું.
29બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની સમીક્ષા કરે. 30પણ જો સભામાં જેઓ છે તેઓમાંના કોઈને કંઈ પ્રગટ થાય, તો પહેલાએ છાના રહેવું.
31તમે સર્વ વાર ફરતી પ્રબોધ કરી શકો છો, કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે. 32પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે. 33ઈશ્વર અવ્યવસ્થાના ઈશ્વર નથી, પણ શાંતિના ઈશ્વર છે.
જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ, 34સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયોમાં છાના રહેવું; કેમ કે તેઓને બોલવાનો અધિકાર નથી, પણ તેઓને આધીનતામાં રહેવું જોઈએ એમ નિયમશાસ્ત્ર પણ કહે છે. 35પણ જો તેઓ કંઈ શીખવા ચાહે, તો તેઓએ ઘરમાં પોતાના પતિને પૂછવું; કેમ કે વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોલવું એ શરમભરેલું છે. 36શું તમારી પાસેથી ઈશ્વરનું વચન આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે?
37જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક સમજે, તો જે વાતો હું તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞાઓ છે એવું તેણે સમજવું. 38જો કોઈ અજ્ઞાની હોય તો તે ભલે અજ્ઞાની રહે.
39એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની ઉત્કંઠા રાખો, અન્ય ભાષાઓમાં બોલવાની મનાઈ ન કરો. 40પણ બધું ઈશ્વરને શોભે એ રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.
Currently Selected:
1 કરિં. 14: IRVGuj
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.