માથ્થી 10
10
બાર પ્રેષિતોની પસંદગી
(માર્ક. 3:13-19; લૂક. 6:12-16)
1ઈસુએ પોતાના બાર શિષ્યોને બોલાવ્યા અને તેમને અશુદ્ધ આત્માઓ કાઢવાનો અને બધા પ્રકારનાં દર્દ તથા માંદગીથી પીડાતા માણસોને સાજા કરવાનો અધિકાર આપ્યો. 2બાર પ્રેષિતોનાં નામ આ પ્રમાણે છે: પ્રથમ સિમોન પિતર અને તેનો ભાઈ આંદ્રિયા; ઝબદીનો પુત્ર યાકોબ અને તેનો ભાઈ યોહાન. 3ફિલિપ અને બારથોલમી, થોમા અને માથ્થી નાકાદાર, આલ્ફીનો પુત્ર યાકોબ અને થાદી, 4સિમોન ધર્માવેશી અને ઈસુની ધરપકડ કરાવનાર યહૂદા ઈશ્કારિયોત.
પ્રેષિતોનું સેવાકાર્ય
(માર્ક. 6:7-13; લૂક. 9:1-6)
5ઈસુએ આ બાર પ્રેષિતોને આવી સૂચનાઓ આપી મોકલ્યા: કોઈ બિનયહૂદી દેશમાં કે સમરૂનનાં નગરોમાં જશો નહિ. 6એને બદલે, ઇઝરાયલના લોકો જે ખોવાઈ ગયેલાં ઘેટાં જેવા છે તેમની પાસે જાઓ; 7જઈને આ પ્રમાણે ઘોષણા કરો, ’ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે.’ 8માંદાંઓને સાજાં કરો, મરેલાંઓને સજીવન કરો, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરો અને અશુદ્ધ આત્માઓને હાંકી કાઢો. તમને એ દાન મફત મળેલાં છે; તેથી મફત આપો. 9તમારા પાકીટમાં સોનારૂપાના કે તાંબાના સિક્કા ન રાખો. 10મુસાફરીને માટે થેલી ન રાખો; વધારાનું ખમીસ, ચંપલ કે લાકડી ન લો. કામ કરનાર પાલનપોષણને યોગ્ય છે.
11જ્યારે તમે કોઈ શહેર કે ગામડામાં પ્રવેશ કરો ત્યારે જે કોઈ તમારો આવકાર કરવા તૈયાર હોય તેની શોધ કરો. તે સ્થળ મૂકીને બીજે જાઓ ત્યાં સુધી તેના ઘેર જ રહો. 12જ્યારે તમે ઘરમાં જાઓ ત્યારે કહો, ’તમને શાંતિ થાઓ.’ 13જો તે ઘરના લોકો શાંતિચાહક હોય, તો તમારી શાંતિની શુભેચ્છા તેમની સાથે રહેશે. પણ જો તેઓ શાંતિપાત્ર ન હોય, તો તમારી શાંતિની શુભેચ્છા પાછી આવશે. 14જો કોઈ ઘર કે નગર તમારો આવકાર ન કરે, અથવા તમારું ન સાંભળે, તો તે સ્થળ મૂકીને બીજે જાઓ અને તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખો.#10:14 સાક્ષીરૂપે આવું કરવામાં આવતું. 15હું તમને સાચે જ કહું છું: ન્યાયને દિવસે એ લોકો કરતાં સદોમ અને મોરાના#10:15 પ્રાચીન સમયમાં સદોમ અને ગમોરાનો અગ્નિ અને ગંધકથી નાશ કરવામાં આવ્યો હતો. લોકોની દશા વધુ સારી હશે!
આવનાર સતાવણીઓ
(માર્ક. 13:9-13; લૂક. 21:12-17)
16જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો. 17સાવધ રહેજો, કારણ, કેટલાક માણસો તમારી ધરપકડ કરશે, તમને કોર્ટમાં લઈ જશે અને તેમનાં ભજનસ્થાનમાં તમને ચાબખા મારશે. 18મારે લીધે તમને શાસકો અને રાજાઓની સમક્ષ સજાને માટે લઈ જવામાં આવશે અને તેમને તથા બિનયહૂદીઓને શુભસંદેશ જણાવવાને કારણે એવું બનશે. 19જ્યારે તમારો ન્યાય કરવામાં આવે ત્યારે શું બોલવું અથવા કેવી રીતે બોલવું તે સંબંધી ચિંતા ન કરો. તમારે જે કહેવાનું છે તે તે જ સમયે તમને આપવામાં આવશે. 20કારણ, જે શબ્દો તમે બોલશો તે તમારા પોતાના નહિ હોય, પણ તમારા ઈશ્વરપિતાનો પવિત્ર આત્મા તમારા દ્વારા બોલશે.
21ભાઈ ભાઈને અને પિતા સંતાનને મોતની સજા માટે પકડાવી દેશે. બાળકો પોતાનાં માતાપિતાની વિરુદ્ધ થઈ જશે અને તેમને મારી નંખાવશે. 22મારે લીધે બધા તમારો તિરસ્કાર કરશે. પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે. 23જ્યારે એક નગરમાં તમારી સતાવણી થાય, ત્યારે બીજામાં નાસી જાઓ. હું તમને સાચે જ કહું છું: ’માનવપુત્રનું આગમન થાય તે પહેલાં ઇઝરાયલનાં બધાં નગરોમાં તમે તમારું સેવાકાર્ય પૂર્ણ કરી શકશો નહિ.’
24કોઈ શિષ્ય પોતાના ગુરુ કરતાં ચઢિયાતો નથી. કોઈ નોકર પોતાના શેઠ કરતાં ચઢિયાતો નથી. 25તેથી શિષ્ય ગુરુ જેવો અને નોકર શેઠ જેવો બને તો એ ય પૂરતું છે. જો કુટુંબનો વડો બાલઝબૂલ કહેવાયો છે, તો પછી કુટુંબના સભ્યોને તો તેથી પણ વધુ ખરાબ નામથી બોલાવવામાં આવશે.
કોની બીક રાખવી જોઈએ?
(લૂક. 12:2-7)
26માણસોથી ડરો નહિ. જે ઢંકાયેલું છે તે પ્રગટ કરવામાં આવશે અને દરેક ગુપ્ત વાત જાહેર કરવામાં આવશે. 27હું તમને અંધકારમાં જે જણાવું છું તે તમે દિવસના પૂર્ણ પ્રકાશમાં જાહેર કરો; અને તમે ખાનગીમાં જે સાંભળો છો તે ઘરના ધાબા પરથી પોકારો. 28જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શક્તા નથી તેમનાથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો. 29ચકલી પૈસાની બબ્બે જેવા નજીવા મૂલ્યે વેચાય છે! છતાં તે પણ ઈશ્વરની ઇચ્છા વર જમીન પર પડતી નથી. 30તમારા માથાના બધા વાળની ગણતરી કરવામાં આવેલી છે. 31આથી બીક ન રાખો, કારણ, ઘણી ચકલીઓ કરતાં તમે વધુ મૂલ્યવાન છો.
સ્વીકાર કે નકાર!
(લૂક. 12:8-9)
32જે જાહેર રીતે મારો સ્વીકાર કરે છે તેનો સ્વીકાર હું આકાશમાંના મારા ઈશ્વરપિતા સમક્ષ કરીશ. 33પણ જે જાહેર રીતે મારો નકાર કરે છે તેનો હું પણ આકાશમાંના મારા ઈશ્વરપિતા સમક્ષ નકાર કરીશ.
શાંતિ કે તલવાર!
(લૂક. 12:51-53; 14:26-27)
34એમ ન માનશો કે હું પૃથ્વી પર શાંતિ સ્થાપવા આવ્યો છું. હું શાંતિ તો નહિ, પણ તલવાર ચલાવવા આવ્યો છું. 35પુત્ર પોતાના પિતાની વિરુદ્ધ, પુત્રી પોતાની માતાની વિરુદ્ધ અને વહુ પોતાની સાસુની વિરુદ્ધ થાય તે માટે હું આવ્યો છું. 36માનવીના સૌથી કટ્ટર દુશ્મનો તો તેના કુટુંબીજનો જ બનશે.
37મારા કરતાં જે કોઈ પોતાના પિતા કે માતા પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. મારા કરતાં જે કોઈ પોતાના પુત્ર કે પુત્રી પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. 38જે કોઈ પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરતો નથી તે મારે યોગ્ય નથી. 39જે કોઈ પોતાનું જીવન બચાવવા યત્ન કરે છે, તે તેને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.
હિસ્સો
(માર્ક. 9:41)
40જે કોઈ તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે મારો સત્કાર કરે છે, તે મને મોકલનારનો પણ સત્કાર કરે છે. 41જે કોઈ ઈશ્વરના સંદેશવાહકનો સંદેશવાહક તરીકે સત્કાર કરે છે તેને સંદેશવાહકના હિસ્સામાંથી ભાગ મળશે. જે કોઈ ઈશ્વરભક્તનો ઈશ્વરભક્ત તરીકે સત્કાર કરે છે તેને ઈશ્વરભક્તના હિસ્સામાંથી ભાગ મળશે. 42હું તમને સાચે જ કહું છું: જે કોઈ આ મારા શિષ્યોમાંના સૌથી નાનાને પણ મારા શિષ્ય તરીકે ઠંડા પાણીનો પ્યાલો આપશે, તો તેને તેનો બદલો મળ્યા વગર રહેશે નહિ.
Currently Selected:
માથ્થી 10: GUJCL-BSI
Highlight
Share
Compare
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide