YouVersion Logo
Search Icon

નીતિવચનો 26

26
1જેમ ઉનાળામાં હિમ, અને
ફસલમાં વરસાદ
[ઠીક લાગતો નથી] , તેમ
મૂર્ખને માન શોભતું નથી.
2જેમ ભટકતી ચકલી, અથવા જેમ ઊડતું
અબાબીલ પક્ષી છે,
તેમ વિનાકારણ આપેલો શાપ
[કોઈને માથે] ઊતરતો નથી.
3ઘોડાને માટે ચાબુક, અને ગધેડાને માટે
લગામ હોય છે,
તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે.
4મૂર્ખને તેની મુર્ખાઈ પ્રમાણે ઉત્તર ન દે,
રખેને તું પણ તેની બરાબર ગણાય.
5મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર દે,
નહિ તો તે પોતાને ડાહ્યો સમજશે.
6જે માણસ મૂર્ખની હસ્તક
સંદેશો મોકલે છે,
તે [પોતાના] પગ કાપી નાખે છે,
અને તે નુકસાન શોષે છે.
7જેમ લંગડાના પગ લૂલા હોય છે,
તેમ જ મૂર્ખના મુખનું દ્દષ્ટાંત છે.
8જે કોઈ મૂર્ખને માન આપે છે
તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી
[મૂકનાર] જેવો છે.
9જેમ છાકટાના હાથમાં કાંટો
ભોકાય છે,
તેમ મૂર્ખોના મુખનું દ્દષ્ટાંત
[તેમને જ નડે] છે.
10ઉત્તમ કારીગર બધું કામ પોતે કરે છે;
પણ મૂર્ખની પાસે કામ કરાવનાર
વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે.
11 # ૨ પિત. ૨:૨૨. જેમ પોતાનું ઓકેલું ખાવાને માટે
કૂતરો પાછો આવે છે,
તેમ મૂર્ખ ફરીફરીને મૂર્ખાઈ જ
કરનાર છે.
12પોતે પોતાને જ્ઞાની માનનાર માણસને
તું જુએ છે શું?
તેના કરતાં તો મૂર્ખને માટે
વધારે આશા છે.
13આળસુ કહે છે, “માર્ગમાં સિંહ છે;
ગલીઓમાં સિંહ છે.”
14જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે,
તેમ આળસુ પોતાના બિછાના
પર આળોટે છે.
15આળસુ પોતાનો હાથ થાળીમાં
નાખે છે ખરો;
પણ તેને પાછો પોતાના મોં સુધી
લાવતાં તેને થાક લાગે છે.
16દલીલો સાથે ઉત્તર આપી શકે તેવા
સાત માણસો કરતાં,
આળસુ પોતાની નજરે પોતાને વધારે
ડાહ્યો ગણે છે.
17જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની
ખટપટમાં પડે છે,
તે કૂતરાના કાન પકડનારના
જેવો છે.
18જેવો બળતાં લાકડાં,
તીર તથા પ્રાણઘાતક
[વસ્તુઓ] ફેંકનાર ઘેલો માણસ છે,
19તેવો જ પોતાના પડોશીને ઠગીને,
“શું હું ગમત કરતો નથી?”
એમ કહેનાર માણસ છે.
20બળતણ ન હોવાથી અગ્નિ
હોલવાઈ જાય છે;
અને કાન ભંભેરનાર ન હોય ત્યાં
કજિયા સમી જાય છે.
21જેમ અંગારા કોલસાને, અને અગ્નિ
લાકડાંને [સળગાવે છે] ;
તેમ ઝઘડાખોર માણસ કજિયા
સળગાવે છે.
22કાન ભંભેરનારના શબ્દો સ્વાદિષ્ટ
કોળિયા જેવા લાગે છે;
તે પેટના અભ્યંતરમાં ઊતરી જાય છે.
23પટામણા હોઠ અને દુષ્ટ હ્રદય,
એ ચાંદીના મેલથી મઢેલા માટીના
વાસણ જેવાં છે.
24દ્વેષી માણસ પોતાના
હોઠોથી છળ કરે છે,
પણ પોતાના અંતરમાં
તે કપટ ભરી રાખે છે;
25જ્યારે તે મીઠું મીઠું બોલે, ત્યારે
તેના પર ભરોસો ન રાખ;
કેમ કે તેના અંત:કરણમાં સાતગણો
કંટાળો આવે એવો [ઇરાદો] છે;
26જો કે તેનો દ્વેષ કપટથી
ઢંકાયેલો હોય છે,
તોપણ તેની દુષ્ટતા મંડળી
આગળ ઉઘાડી પડી જશે.
27જે [બીજાને માટે] ખાડો ખોદે
તે પોતે તેમાં પડશે;
અને જે કોઈ [બીજાની તરફ] પથ્થર
ગબડાવે તે તેના પર જ પાછો આવશે.
28જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે
તેમનો તે દ્વેષ કરે છે;
અને ખુશામતિયું મોં
પાયમાલી કરે છે.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 26