Bible App logo
Search Icon

યશાયા 2

2
સાર્વકાલિક શાંતિ
(મી. ૪:૧-૩)
1આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી [સંદર્શનમાં] જે વાત પ્રગટ થઈ તે.
2છેલ્લા કાળમાં યહોવાના મંદિરનો
પર્વત પહાડોનાં શિખરો પર
સ્થાપન થશે,
ને ડુંગરો કરતાં તેને ઊંચો
કરવામાં આવશે;
અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની જેમ
પ્રવેશ કરશે.
3ઘણા લોકો જઈને કહેશે,
“ચાલો, આપણે યહોવાના પર્વત પાસે,
યાકૂબના ઈશ્વરના મંદિર પાસે,
ચઢી જઈએ;
તે આપણને તેમના માર્ગ શીખવશે,
ને આપણે તેમના રસ્તામાં ચાલીશું.
કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને
યહોવાનાં વચન યરુશાલેમમાંથી
નીકળશે.
4તે વિદેશીઓમાં ઇનસાફ કરશે,
તે ઘણા લોકોનો ચૂકાદો કરશે;
અને #યોએ. ૩:૧૦. તેઓ પોતાની તરવારોને
ટીપીને કોશો,
અને પોતાના ભાલાઓનાં
ધારિયાં બનાવશે.
પ્રજાઓ એકબીજીની વિરુદ્ધ
તરવાર ઉગામશે નહિ,
અને તેઓ ફરીથી યુદ્ધકળા
શીખશે નહિ.
5હે યાકૂબના વંશજો, ચાલો, આપને
યહોવાના પ્રકાશમાં ચાલીએ!
ગર્વિષ્ટોનો નાશ થશે
6[હે પ્રભુ,] તમે તમારા લોકોને, એટલે યાકૂબનાં સંતાનોને તજી દીધાં છે; કારણ કે તેઓ પૂર્વ [તરફના દેશો] ના રીતરિવાજોમાં મશગૂલ, અને પલિસ્તીઓની જેમ ધંતરમંતર કરનારા થયા છે, તેઓ પારકાનાં સંતાન સાથે મિત્રાચારી રાખે છે. 7વળી તેમનો દેશ સોનારૂપાથી ભરપૂર થયો છે, તેઓના ખજાનાનો પાર નથી; તેમનો દેશ ઘોડાઓથી ભરપૂર છે, અને તેમના રથનો પાર નથી. 8વળી તેમનો દેશ મૂર્તિઓથી ભરપૂર થયો છે; પોતાના હાથે બનાવેલી વસ્તુને, પોતાની આંગળીઓએ જે બનાવ્યું છે તેને તેઓ પગે લાગે છે.
9દરિદ્રી પ્રણામ કરે છે, અને ધનવાન પણ નમે છે. એથી જ તમે તેઓને માફ કરશો નહિ.
10 # ૨ થેસ. ૧:૯. યહોવાના ભયથી, અને તેમના માહાત્મ્યના પ્રતાપથી #પ્રક. ૬:૧૫. ખડકમાં પેસી જ, ને ધૂળમાં સંતાઈ રહે. 11માણસની ગર્વિષ્ઠ દષ્ટિ નીચી કરવામાં આવશે, ને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે. 12કેમ કે જે ગર્વિષ્ઠ તથા મગરૂર છે, ને જે ઉન્મત્ત છે, તે સર્વ પર સૈન્યોના ઈશ્વર યહોવાએ [નકકી કરેલો] દિવસ આવનાર છે; અને તે [સર્વ] નમાવવામાં આવશે. 13લબાનોનનાં સર્વ મોટાં ને ઊંચાં થએલાં એરેજવૃક્ષો પર, બાશાનનાં સર્વ એલોન ઝાડ પર; 14સર્વ મોટા પર્વતો પર, સર્વ ઊંચા ટેકરાઓ પર; 15દરેક ઊંચા કિલ્લા પર, દરેક મોરચાબંધ કોટ પર; 16તાર્શીશનાં સર્વ વહાણો પર, અને સર્વ મનોરંજક દેખાવો પર [તે દિવસ આવનાર છે]. 17[તે સમયે] માણસોનો ગર્વ ઉતારવામાં આવશે, અને પુરુષોનું અભિમાન જતું રહેશે. અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે. 18મૂર્તિઓ છેક નાબૂદ થઈ જશે.
19યહોવા પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે માણસો તેમના ભયથી, તથા તેમના મહાત્મ્યના પ્રતાપથી ખડકોની ગુફાઓમાં તથા ભૂમિની ખોમાં સંતાઈ જશે. 20તે દિવસે માણસ પોતાને માટે ભજવાને માટે કરેલી સોનારૂપાની મૂર્તિ ચેણ તથા ચામાચેણની પાસે ફેંકી દેશે. 21જ્યારે યહોવા પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેમના ભયથી, તથા તેમના માહાત્મ્યના પ્રતાપથી, ખડકોનાં પોલાણમાં ને શિખરોની ફાટોમાં પેસી જશે.
22તમે માણસની આશા છોડો કે, જેનો શ્વાસ તેનાં નસકોરાંમાં જ છે; તે શી ગણતરીમાં છે?

Currently Selected:

યશાયા 2: GUJOVBSI

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in