યશાયા 14
14
બંદીવાસમાંથી પાછા સ્વદેશ
1કેમ કે યહોવા યાકૂબ પર દયા કરશે, ને ફરીથી ઈઝરાયલને પસંદ કરશે, અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે. પરદેશીઓ તેઓની સાથે જોડાશે, ને તેઓ યાકૂબનાં સંતાનોની સાથે મળીને રહેશે. 2લોકો તેમને લઈને તેમના વતનમાં તેમને પાછા લાવશે; અને યહોવાની ભૂમિમાં ઇઝરાયલીઓ તેઓને દાસ તથા દાસી તરીકે રાખશે. અને તેઓ પોતાને બંદીવાન કરનારાઓને બંદીવાન કરી લેશે; અને તેમના પર જુલમ કરનારાઓ પર તેઓ અધિકાર ચલાવશે.
બાબિલ સાથે વ્યંગ
3યહોવા તને તારા કલેશથી તથા તારા સંતાપથી, અને જે સખત વૈતરું તારી પાસે કરાવવામાં આવ્યું તેથી વિસામો આપશે. 4તે દિવસે તું બાબિલના રાજાને મહેણાં મારીને કહેશે કે, જુલમી કેવો શાંત પડયો છે! તેનો ઉગ્ર ક્રોધ કેવો શાંત થયો છે! 5જે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી, 6જે કોપમાં લોકોને નિરંતર મારતી, અને ક્રોધમાં નિરંકુશ સતાવણીથી પ્રજાઓ પર અમલ કરતી તેને યહોવાએ ભાંગી છે. 7આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થયેલી છે; તેઓ હર્ષનાદ કરવા માંડે છે. 8હા, દેવદારો તથા લબાનોનનાં એરેજવૃક્ષો તારે લીધે આનંદ કરે છે. [તેઓ કહે છે,] ‘તું પડયો ત્યારથી કોઈ કઠિયારો અમારા ઉપર ચઢી આવ્યો નથી.’
9ઊંડાણમાં શેઓલ તારે લીધે, તારા આવતામાં જ, તને મળવાને આતુર થઈ રહ્યું છે! તે તારે લીધે મૂએલાના આત્માઓને, પૃથ્વીના સર્વ સરદારોને જાગૃત કરે છે; તેણે વિદેશીઓના સર્વ રાજાઓને તેમનાં રાજ્યાસનો પરથી ઉઠાડયા છે 10તેઓ સર્વ બોલી ઊઠશે ને તને કહેશે, ‘શું તું પણ અમારા જેવો નબળો થયો છે? તું અમારા સરખો થયો છે?’ 11તારા ગર્વને તથા તારી વીણાઓના સૂરને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે. તારી નીચે અળસિયાં પાથરેલાં છે, ને કૃમિ તને ઢાંકે છે.
12રે તેજસ્વી તારા પ્રભાતના પુત્ર, #પ્રક. ૮:૧૦; ૯:૧. તું ઊંચે આકાશમાંથી કેમ પડયો છે! બીજી પ્રજાઓને નીચે પાડનાર, તું કાપી નંખાઈને ભોંયભેગો કેમ થયો છે! 13#માથ. ૧૧:૨૩; લૂ. ૧૦:૧૫. તેં તારા હ્રદયમાં કહ્યું હતું, “હું આકાશો પર ચઢીશ, ને હું ઈશ્વરના તારાઓ કરતાં મારું રાજ્યાસન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ. 14હું મેઘો પર આરોહણ કરીશ, હું પોતાને પરાત્પર સમાન કરીશ.” 15તે છતાં તું શેઓલ સુધી, ઘોરના ઊંડાણમાં નીચો પાડવામાં આવશે.
16જ્યારે તેઓ તને જોશે, તને નિહાળશે, ત્યારે તેઓ તારે વિષે વિચાર કરશે કે, જે માણસે પૃથ્વી થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં, 17જેણે જગતને અરણ્ય જેવું કર્યું હતું, ને તેમાંનાં નગરોને પાયમાલ કરી નાખ્યાં હતાં, જેણે પોતાના બંદીવાનોને છૂટા કરીને ઘેર જવા ન દીધા, તે શું આ છે? 18દેશોના સર્વ રાજાઓ તો પોતપોતાના ઘરમાં માન સહિત સૂતેલા છે. 19પરંતુ જેઓને તરવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, ને જેઓ ઘોરના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વિષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તો તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે; તું ખુંદાયેલા મુડદા જેવો જ છે. 20તને તેમની સાથે દાટવામાં આવશે નહિ, કેમ કે તેં પોતાના દેશનો નાશ કર્યો છે, પોતાના લોકને કતલ કર્યા છે. ભૂંડું કરનારાઓના સંતાનનાં નામ સર્વકાળ સુધી કોઈ લેશે નહિ. 21તેના દીકરાઓને માટે તેમના પિતાઓના અન્યાયને લીધે વધસ્થાન તૈયાર કરો; રખેને તેઓ ઊઠે, ને પૃથ્વીનું વતન પામે, ને જગતનું પૃષ્ઠ નગરોથી ભરપૂર કરે.
ઈશ્વર બાબિલનો વિનાશ કરશે
22વળી સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “હું તેઓની સામો ઊઠીશ, અને બાબિલમાંથી [તેઓનું] નામ તથા શેષ ને પુત્રપૌત્રાદિ કાપી નાખીશ, ” યહોવાનું વચન એવું છે. 23“હું તેને શાહુડીનું વતન તથા પાણીનાં ખાબોચિયાં કરી નાખીશ; અને નાશના ઝાડુથી તેને ઝાડી કાઢીશ”; સૈન્યોના [ઈશ્વર] યહોવાનું વચન એવું છે.
ઈશ્વર આશૂરનો વિનાશ કરશે
24સૈન્યોના [ઈશ્વર] યહોવાએ સમ ખાઈને કહ્યું છે, “જે પ્રમાણે મેં ધારણા કરી છે તે પ્રમાણે નક્કી થશે; અને મેં જે ઠરાવ કર્યો છે તે કાયમ રહેશે: 25એટલે મારા દેશમાં હું #યશા. ૧૦:૫-૩૪; નાહ. ૧:૧—૩:૧૯; સફા. ૨:૧૩-૧૫. આશૂરના કકડેકકડા કરીશ, અને મારા પર્વતો પર હું તેને ખૂંદી નાખીશ; તે વખતે એની ઝૂંસરી તેઓ પરથી નીકળી જશે, ને એનો ભાર તેઓની ખાંધ પરથી ઉતારવામાં આવશે. 26જે સંકલ્પ આખી પૃથ્વી વિષે કરેલો છે તે એ છે; અને જે હાથ સર્વ દેશો સામે ઉગામેલો છે તે એ છે. 27કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ જે યોજના કરી છે તેને કોણ રદ કરશે? તેમનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે?”
ઈશ્વર પલિસ્તીઓનો વિનાશ કરશે
28 #
૨ રા. ૧૬:૨૦; ૨; ૨ કાળ. ૨૮:૨૭. આહાઝ રાજા મરણ પામ્યો તે વરસે આ ઈશ્વરવાણી થઈ.
29“હે સર્વ #યર્મિ. ૪૭:૧-૭; હઝ. ૨૫:૧૫-૧૭; યોએ. ૩:૪-૮; આમો. ૧:૬-૮; સફા. ૨:૪-૭; ઝખ. ૯:૫-૭. પલિસ્તીઓ, જે છડીએ તમને માર્યા તે ભાંગી ગઈ છે, એ માટે તમે હરખાશો નહિ; કેમ કે સાપના મૂળમાંથી નાગ નીકળશે, તે તેમાંથી ઊડણ સર્પ ઉત્પન્ન થશે. 30ગરીબમાં ગરીબ માણસ અન્ન ખાશે, અને દરિદ્રી નિર્ભયતાથી સૂશે. હું તારા મૂળને દુકાળથી મારી નાખીશ, ને તારો શેષ કતલ કરવામાં આવશે. 31હે નગરદ્વાર, વિલાપ કર; હે નગર, આક્રંદ કર; હે પલિસ્તી દેશ, પીગળી જા; કેમ કે ઉત્તર તરફથી ધુમાડો આવે છે, ને તેના સૈન્યમાં કોઈ પાછળ રહી જનાર નથી. 32તો દેશના એલચીઓને કેવો ઉત્તર આપવો? તે આ-યહોવાએ સિયોનનો પાયો નાખેલો છે, ને તેના લોકોમાંના જેઓ દુ:ખી છે તેઓ એના આશ્રયમાં આવી રહેશે.”
Currently Selected:
યશાયા 14: GUJOVBSI
Highlight
Copy
Compare
Share
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.