YouVersion Logo
Search Icon

નિર્ગમન 12

12
પાસ્ખા
1અને મિસર દેશમાં યહોવાએ મૂસા તથા હારુનને કહ્યું, 2#પ્રભુનું પાસ્ખાપર્વ (ક:૧૧) લે. ૨૩:૫; ગણ. ૯:૧-૫; ૨૮:૧૬; પુન. ૧૬:૧-૨. “આ માસને તમારા માલોમાંનો પ્રથમ ગણવો. તે તમારા વર્ષનો પ્રથમ માસ ગણાય. 3ઇઝરાયલના આખા સમુદાયને કહે કે, આ માસને દશમે દિવસે તમ પ્રત્યેક પુરુષે પોતાને માટે પોતાના પિતાના ઘર પ્રમાણે એકેક હલવાન લેવું, એટલે કુટુંબદીઠ અકેક હલવાન; 4અને જો કુટંબ એટલું નાનું હોય કે એક હલવાનને ખાઈ ન શકે તો તે તથા તેના ઘર પાસેનો પડોશી મળી તેમનાં માણસોની સંખ્યા પ્રમાણે એક હલવાન વિષે અટકળ કરવી. 5હલવાન એબરહિત તથા પહેલા વર્ષનો નર હોવો જોઈએ. તે તમારે ઘેટામાંથી કે બકરાંમાંથી લેવો; 6અને તે જ માસના ચૌદમા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો; અને ઇઝરાયલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો. 7અને તેના રક્તમાંથી લઈને જે ઘરોમાં તેઓ તે ખાય તેમની બન્‍ને બારસાખો ઉપર તથા ઓતરંગ ઉપર તેઓ છાંટે. 8અને તેઓ તે જ રાત્રે તે માંસ અગ્નિમાં શેકીને બેખમીર રોટલી સાથે ખાય; તેઓ તે કડવી ભાજી સાથે ખાય. 9કાંચુ કે તદન પાણીમાં બાફીને તે ખાવું નહિ; પણ તેનું માથું તથા પગ તથા આંતરડા સહિત આગમાં શેકીને તે ખાવું; 10સવાર સુધી તેમાંનું કંઈ રાખવું નહિ; પણ તેમાંનું જે કંઈ સવાર સુધી રહે તે તમારે આગમાં બાળી દેવું. 11અને તે તમારે આ પ્રમાણે ખાવું:એટલે તમારી કમર બાંધીને, તમારાં પગરખાં પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને [ખાવું] ; અને તમારે તે જલદી જલદી ખાઈ લેવું; તે યહોવાનું પાસ્ખા છે. 12કેમ કે તે રાત્રે હું આખા મિસર દેશમાં ફરીશ, ને મિસર દેશમાં મનુષ્યના તથા પશુના સર્વ પ્રથમજનિતને મારી નાખીશ; અને હું મિસરના સર્વ દેવો પર ન્યાયાશાસન લાવીશ, હું યહોવા છું. 13અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસર દેશ પર મરો લાવીશ, ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ, ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહિ. 14અને #બેખમીરનું પર્વ (ક.૧૭) નિ. ૨૩:૧૫; ૩૪:૧૮; લે. ૨૩:૬-૮; ગણ. ૨૮:૧૭-૨૫; પુન. ૧૬:૩-૮. આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય, ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું. વંશપરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું.
બેખમીર રોટલીનું પર્વ
15સાત દિવસ તમારે બેખમીર રોટલી ખાવી. પહેલા જ દિવસેથી તમારે તમારાં ઘરોમાંથી ખમીર દૂર કરવું, કેમ કે પહેલા દિવસથી તે સાતમા દિવસ સુધી જે કોઈ ખમીરી રોટલી ખાય તે માણસ ઇઝરાયલમાંથી નાબૂદ કરાશે. 16અને પહેલે દિવસે તમારે પવિત્ર મેળાવડો, ને સાતમે દિવસે તમારે પવિત્ર મેળાવડો ભરવો. તેઓમાં કંઈ કામ ન કરવું, માત્ર પ્રત્યેક માણસને ખાવાની જરૂર હોય, તેટલું જ તમારે કરવું. 17અને તમારે બેખમીર રોટલી [નું પર્વ] પાળવું; કેમ કે એ જ દિવસે હું તમારાં સૈન્યો મિસર દેશમાંથી કાઢી લાવ્યો છું; એ માટે તમારે વંશપરંપરા એ દિવસને નિત્યના વિધિથી પાળવો. 18પહેલા માસના ચૌદમા દિવસની સાંજથી માંડીને તે માસના એકવીસમા દિવસની સાંજ સુધી તમારે બેખમીર રોટલી ખાવી. 19સાત દિવસ તમારાં ઘરોમાં કંઈ પણ ખમીર રહેવું ન જોઈએ; કેમ કે જે કોઈ ખમીરી વસ્તુ ખાય તે માણસ ઇઝરાયલી લોકોમાંથી નાબૂદ કરાશે, પછી તે પરદેશી હોય કે દેશનો વતની હોય. 20કંઈ પણ ખમીરી વસ્તુ તમારે ખાવી નહિ. તમારાં સર્વ રહેઠાણોમાં તમારે બેખમીર રોટલી ખાવી.”
પ્રથમ પાસ્ખા
21ત્યારે મૂસાએ ઇઝરાયલના સર્વ વડીલોને બોલાવીને તેઓને કહ્યું, “જાઓ, ને તમારાં કુટુંબો પ્રમાણે હલવાનો લઈને પાસ્ખા કાપો. 22અને ગુફાની એક ઝૂડી લઈને તેને વાસણમાંનઅ રક્તમાં બોળીને ઓતરંગ પર તથા બન્‍ને બારસાખ પર તે વાસણમાંના રક્તમાંથી છાંટો; અને સવાર સુધી તમારામાંના કોઈએ ઘરના બારણાની બહાર જવું નહિ. 23કેમ કે મિસરીઓ ઉપર મરો લાવવા માટે યહોવા આખા દેશમાં ફરશે. અને #હિબ. ૧૧:૨૮. ઓતરંગ ઉપર તથા બન્‍ને બારસાખ પર તે રક્ત જોઈને યહોવા તે બારણું ટાળી મૂકશે, ને વિનાશકને તમારાં ઘરોમાં પેસીને તમારાં ઘરોમાં પેસીને તમારા પર મરો લાવવા દેશે નહિ. 24અને તમે તથા તમારા દીકરાઓ આ બાબતને સદાના વિધિ તરીકે પાળો. 25અને યહોવા તેના વચન પ્રમાણે જે દેશ તમને આપશે, તેમાં તમે પહોંચો ત્યારે એમ થાય કે તમે એ સંસ્કાર પાળશો. 26અને એમ થશે કે જ્યારે તમારાં છોકરાં તમને પૂછે કે, એ સંસ્કારનો અર્થ શો છે? 27ત્યારે તમારે એમ કહેવું કે, એ યહોવાનો પાસ્ખાયજ્ઞ છે, કેમ કે જ્યારે યહોવા મિસરીઓ ઉપર મરો લાવ્યા ને આપણાં ઘરો બચાવ્યાં, ત્યારે તેમણે મિસરમાં રહેનાર ઇઝરાયલીઓનાં ઘરોને ટાળી મૂક્યાં.” ત્યારે લોકોએ માથું નમાવીને ભજન કર્યું. 28અને ઇઝરાયલી લોકોએ જઈને તે પ્રમાણે કર્યું. જેમ યહોવાએ મૂસાને તથા હારુનને આજ્ઞા આપી હતી, તેમ તેઓએ કર્યું.
29અને મધરાતે એમ થયું કે #નિ. ૪:૨૨-૩૧. યહોવાએ રાજ્યાસને બિરાજમાન ફારુનના પ્રથમજનિતથી માંડીને તુરંગવાસી કેદીના પ્રથમજનિત સુધી મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત સુધી મિસર દેશમાંના સર્વ પ્રથમજનિતોને મારી નાખ્યા. અને પશુના સર્વ પ્રથમ જન્મેલાને [પણ મારી નાખ્યા]. 30અને રાત્રે ફારુન તથા તેના સર્વ સેવકો તથા સર્વ મિસરીઓ ઊઠયા; અને મિસરમાં ભારે વિલાપ થયો; કેમ કે એવું એક પણ ઘર નહોતું કે જ્યાં એક માર્યો ગયો ન હોય. 31અને તેણે મૂસાને તથા હારુનને રાત્રે તેડાવીને કહ્યું, “તમે તથા ઇઝરાયલીઓ બન્‍ને ઊઠો, ને મારા લોક મધ્યેથી નીકળી જાઓ. અને જઈને તમારા કહ્યા પ્રમાણે યહોવાની સેવા કરો. 32અને તમારા કહ્યા પ્રમાણે તમારાં ઘેટાંબકરાં તથા ઢોરઢાંક લેતા જાઓ. અને મને પણ આશીર્વાદ આપો.” 33અને મિસરીઓએ લોકોને દેશમાંથી જલદી વિદાય થવાનો આગ્રહ કર્યો; કેમ કે તેઓએ કહ્યું કે, અમે તો બધા મરી ગયા! 34અને લોકોએ ખમીર દીધા વગર લોટના લોંદા લઈ લીધા, ને પોતાની કથરોટો પોતાની ચાદરોમાં બાંધીને પોતાની ખાંધે લઈ લીધી. 35અને #(આખો વિભાગ): નિ. ૩:૨૧-૨૨. ઇઝરાયલી લોકોએ મૂસાના કહેવા પ્રમાણે કરીને મિસરીઓ પાસેથી સોનાના તથા રૂપાના દાગીના તથા વસ્‍ત્રો માંગી લીધાં. 36અને યહોવાએ મિસરીઓની દષ્ટિમાં લોકોને કૃપા પમાડી, ને તેથી જે કંઈ તેઓએ માંગ્યું તે તેઓએ તેમને આપ્યું. અને તેઓએ મિસરીઓને લૂંટી લીધા.
ઇઝરાયલી લોકો મિસર છોડી ચાલ્યા
37અને ઇઝરાયલીઓ રામસેસથી સુક્કોથ આવ્યા; તેઓ બાળકો સિવાય સુમારે છ લાખ પાયદળ પુરુષો હતા. 38અને મિશ્રિત લોકોનો જ્થ્થો પણ તેમની સાથે ચાલતો હતો. અને ઘેટાંબકરાં તથા ઢોરઢાંક મળી અતિ ઘણાં જાનવર હતાં. 39અને જે લોટના લોંદા તેઓ મિસર દેશમાંથી સાથે લેતા આવ્યા હતા; તેમાંથી તેઓને બેખમીર રોટલી પકાવી, કેમ કે તેને ખમીર દીધેલું નહોતું. કેમ કે તેમને મિસરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, ને તેથી તેઓ થોભી શક્યા નહોતા, તથા તેઓએ પોતાને માટે કંઈ ભાથું પણ તૈયાર કર્યું નહોતું. 40હવે #(આખી કલમ): ઉત. ૧૫:૧૩; ગલ. ૩:૧૭. ઇઝરાયલીઓએ જે પ્રવાસ મિસર દેશમાં કર્યો, તેની મુદત ચારસો ને ત્રીસ વર્ષની હતી. 41અને એમ થયું કે ચારસો ત્રીસ વર્ષ પૂરાં થયાં, તે જ દિવસે એમ થયું કે યહોવાનાં સર્વ સૈન્યો મિસર દેશમાંથી નીકળી ગયાં. 42મિસર દેશમાંથી યહોવા તેમને કાઢી લાવ્યા તે કારણથી તે રાત તેમના માનાર્થે જાગરણની રાત તરીકે સારી રીતતે ઊજવવાની છે. સર્વ ઇઝરાયલીઓને માટે તે રાત યહોવાના માનાર્થે જાગરણની રાત તરીકે વંશપરંપરા ઊજવવાની છે.
પાસ્ખા પાળવાનો વિધિ
43અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “આ તો પાસ્ખાનો વિધિ છે. કોઈ પરદેશી તે ન ખાય; 44પણ મૂલ્ય આપીને ખરીદેલો પ્રત્યેક માણસનો દાસ સુન્‍નત કરાવ્યા પછી તે ખાય. 45પ્રવાસી કે પગારે રાખેલો ચાકર તે ન ખાય. 46એક જ ઘરમાં તે ખવાય; અને તારે તે માંસમાંથી કંઈ પણ બહાર લઈ જવું નહિ અને #ગણ. ૯:૧૨; યોહ. ૧૯:૩૬. તમારે તેનું એકે હાડકું ભાંગવું નહિ. 47ઇઝરાયલના સર્વ લોકો તે પાળે. 48અને જો કોઈ પ્રવાસી તારી સાથે વસેલો હોય, ને તે યહોવાનું પાસ્ખઅ પાળવા ચાહતો હોય, તો તેના [ઘરના] સર્વ પુરુષો સુન્‍નત કરાવે, ને ત્યાર પછી તે પાસ્ખા પાળવાને પાસે આવે; અને દેશમાં જન્મેલા માણસ જેવો તે ગણાય; પણ કોઈ બેસુન્‍નત માણસ તે ન ખાય. 49દેશમાં જન્મેલાને માટે તથા તમારામાં પ્રવાસ કરનાર પરદેશીને માટે એક જ નિયમ હોય.” 50સર્વ ઇઝરાયલીઓએ એમ જ કર્યું; જેમ યહોવાએ મૂસાને તથા હારુનને આજ્ઞા કરી હતી તેમ તેઓએ કર્યું. 51અને તે દિવસે એમ થયું કે, યહોવા ઇઝરાયલી લોકોને તેમનાં સૈન્યો સહિત મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in