Bible App logo
Search Icon

નીતિ. 29

29
1જે માણસ વારંવાર ઠપકો પામવા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે,
તે અકસ્માતમાં નાશ પામશે, તેનો કોઈ ઉપાય રહેશે નહિ.
2જ્યારે ન્યાયી લોકો સત્તા પર આવે છે ત્યારે લોકો આનંદોત્સવ કરે છે,
પણ જ્યારે દુષ્ટોના હાથમાં સત્તા આવે છે ત્યારે તેઓ નિસાસા નાખે છે.
3જે કોઈ ડહાપણને પ્રેમ કરે તે પોતાના પિતાને આનંદ આપે છે,
પણ જે ગણિકાઓની સાથે સંબંધ રાખે છે તે પોતાની સંપત્તિ પણ ગુમાવે છે.
4નીતિમાન ન્યાયી રાજા દેશને સ્થિરતા આપે છે,
પણ જે લાંચ મેળવવાનું ચાહે છે તે તેનો નાશ કરે છે.
5જે માણસ પોતાના પડોશીનાં ખોટાં વખાણ કરે છે
તે તેને ફસાવવા જાળ પાથરે છે.
6દુષ્ટ માણસ પોતાના પાપના ફાંદામાં ફસાય છે,
પણ નેકીવાન માણસ ગીતો ગાય છે અને આનંદ કરે છે.
7નેકીવાન માણસ ગરીબોના હિતની ચિંતા રાખે છે;
દુષ્ટ માણસ તે જાણવાની દરકાર પણ કરતો નથી.
8તિરસ્કાર કરનાર માણસો શહેર સળગાવે છે,
પણ ડાહ્યા માણસો રોષને સમાવે છે.
9જ્યારે ડાહ્યો માણસ મૂર્ખ સાથે વાદવિવાદમાં ઊતરે છે, ત્યારે કાં તો તે ગુસ્સે થાય છે અગર તે હસે છે,
પણ તેને કંઈ નિરાંત વળતી નથી.
10લોહીના તરસ્યા માણસો પ્રામાણિક માણસો પર વૈર રાખે છે
તેઓ પ્રામાણિકનો જીવ લેવા મથે છે.
11મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બહાર ઠાલવે છે,
પણ ડાહ્યો માણસ પોતાની જાતને કાબૂમાં રાખે છે અને ક્રોધ સમાવી દે છે.
12જો કોઈ શાસનકર્તા જૂઠી વાતો સાંભળવા માટે ધ્યાન આપે,
તો તેના સર્વ સેવકો ખરાબ થઈ જાય છે.
13ગરીબ માણસ તથા જુલમગાર માણસ ભેગા થાય છે;
અને તે બન્નેની આંખોને યહોવાહ પ્રકાશ આપે છે.
14જે રાજા વિશ્વાસુપણાથી ગરીબોનો ન્યાય કરે છે,
તેનું રાજ્યાસન સદાને માટે સ્થિર રહેશે.
15સોટી તથા ઠપકો ડહાપણ આપે છે;
પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માતાને બદનામ કરે છે.
16જ્યારે દુષ્ટોની વૃદ્ધિ થાય છે, ત્યારે પાપ વધે છે;
પણ નેકીવાનો તેઓની પડતી થતી જોશે.
17તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે
અને તે તારા આત્માને આનંદ આપશે.
18જ્યાં સંદર્શન નથી, ત્યાં લોકો મર્યાદા છોડી દે છે,
પણ નિયમના પાળનાર આશીર્વાદિત છે.
19માત્ર શબ્દોથી ગુલામોને સુધારી શકાશે નહિ,
કારણ કે તે સમજશે તો પણ ગણકારશે નહિ.
20શું તેં ઉતાવળે બોલનાર માણસને જોયો છે?
તેના કરતાં કોઈ મૂર્ખ તરફથી વધારે આશા રાખી શકાય.
21જે માણસ પોતાના ચાકરને નાનપણથી વહાલપૂર્વક ઉછેરે છે,
આખરે તે તેનો દીકરો થઈ બેસશે.
22ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે
અને ગુસ્સાવાળો માણસ ઘણા ગુના કરે છે.
23અભિમાન માણસને અપમાનિત કરે છે,
પણ નમ્ર વ્યક્તિ સન્માન મેળવે છે.
24ચોરનો ભાગીદાર તેનો પોતાનો જ દુશ્મન છે;
તે સોગન ખાય છે, પણ કંઈ જાહેર કરતો નથી.
25માણસની બીક ફાંદારૂપ છે;
પણ જે કોઈ યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે.
26ઘણા માણસો અધિકારીની કૃપા શોધે છે,
પણ ન્યાય તો યહોવાહ પાસેથી જ મળી શકે છે.
27અન્યાયી માણસ નેકીવાનને કંટાળાજનક છે,
અને નેકીવાન દુષ્ટોને કંટાળાજનક છે.

Currently Selected:

નીતિ. 29: IRVGuj

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in