YouVersion Logo
Search Icon

માથ. 19

19
ઈસુ છૂટાછેડા વિષે ચેતવે છે
1ઈસુએ એ વાતો પૂરી કર્યા પછી એમ થયું કે, તે ગાલીલથી નીકળીને યર્દન નદીને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં આવ્યા. 2અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા અને ત્યાં તેમણે તેઓને સાજાં કર્યા.
3ફરોશીઓએ તેમની પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં પૂછ્યું કે, “કોઈ પણ કારણને લીધે શું પુરુષે પત્નીને છોડી દેવી ઉચિત છે?” 4ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, “શું તમે એમ નથી વાંચ્યું કે, જેમણે તેઓને ઉત્પન્ન કર્યાં, તેમણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા?
5 અને કહ્યું કે ‘તે કારણને લીધે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તે બન્ને એક દેહ થશે?’ 6માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જુદા ન પાડવાં.”
7તેઓએ ઈસુને કહ્યું કે, “તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, ફારગતીનું પ્રમાણપત્ર આપીને તેને મૂકી દેવી?” 8ઈસુએ તેઓને કહ્યું કે, “મૂસાએ તમારાં હૃદયની કઠોરતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું. 9હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને ત્યજીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરે છે; અને જો કોઈ ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે.”
10તેમના શિષ્યોએ તેમને કહ્યું કે, “જો પુરુષની તેની પત્ની સંબંધી આ સ્થિતિ હોય, તો લગ્ન કરવું સારું નથી.” 11ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “બધાથી એ વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. 12કેમ કે કેટલાક નપુંશક છે કે જેઓ પોતાની માતાઓથી જ એવા જન્મેલાં છે. કેટલાક એવા છે કે જેઓને માણસોએ નપુંશક બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ નપુંશક તરીકે કર્યા છે. જે સ્વીકારી શકે છે તે આ વાત સ્વીકારે.”
ઈસુ બાળકોને આશીર્વાદ આપે છે
માર્ક 10:13-16; લૂક 18:15-17
13ત્યાર પછી તેઓ બાળકોને તેમની પાસે લાવ્યા, એ માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 14પણ ઈસુએ કહ્યું કે, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાઓનું છે.” 15તેઓ પર હાથ મૂક્યા પછી તે ત્યાંથી ગયા.
એક ધનવાન જુવાન
માર્ક 10:17-31; લૂક 18:18-30
16ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઉપદેશક, અનંતજીવન પામવા માટે હું શું સારું કરું?” 17ત્યારે તેમણે તે વ્યક્તિને કહ્યું, “તું મને સારાં વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનનાં માર્ગમાં પ્રવેશવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.”
18તે વ્યક્તિએ ઈસુને કહ્યું કે, ‘કઈ આજ્ઞાઓ?’ ત્યારે ઈસુએ કહ્યું કે, “તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, 19પોતાનાં માતાપિતાને માન આપ, પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.”
20તે જુવાને તેમને કહ્યું કે, “એ બધી આજ્ઞાઓ તો હું પાળતો આવ્યો છું; હજી મારામાં શું ખૂટે છે?” 21ઈસુએ તે જુવાનને કહ્યું કે, “જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ અને ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.” 22પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.
23ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે. 24વળી હું તમને ફરી કહું છું કે ‘ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.”
25ત્યારે તેમના શિષ્યોએ તે સાંભળીને ઘણાં અચરત થયા અને કહેવા લાગ્યા કે, “તો કોણ ઉદ્ધાર પામી શકે?” 26પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું કે, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.” 27ત્યારે પિતરે ઈસુને જવાબ આપ્યો કે, “અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?”
28ઈસુએ તેઓને કહ્યું, “હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.
29 જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે પાછળ મૂકી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે. 30પણ ઘણાં જેઓ પ્રથમ તેઓ છેલ્લાં થશે; અને જેઓ છેલ્લાં તેઓ પ્રથમ થશે.”

Currently Selected:

માથ. 19: IRVGuj

Highlight

Share

Compare

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in