નીતિવચનો 28

28
1કોઈ માણસ પાછળ
પડ્યું ન હોય
તો પણ દુષ્ટ નાસી જાય છે;
પણ નેકીવાનો સિંહના જેવા
હિમ્‍મતવાન હોય છે.
2દેશના અપરાધને લીધે તેના પર ઘણા
હાકેમો થાય છે;
પણ બુદ્ધિમાન તથા જ્ઞાની માણસોથી
તે ટકી રહે છે.
3જે માણસ નિર્ધન છતાં દરિદ્રીઓ ઉપર
જુલમ કરે છે,
તે અનાજનો તદ્દન નાશ કરનાર
વરસાદની હેલી [જેવો છે].
4નિયમ તોડનારાઓ દુષ્ટોનાં
વખાણ કરે છે;
પણ નિયમ પાળનારાઓ તેઓની
સામે ટક્કર ઝીલે છે
5દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી;
પણ યહોવાની શોધ કરનારાઓ બધી
બાબતો સમજે છે.
6જે માણસ ધનવાન છતાં અવળે માર્ગે
ચાલે છે,
તેના કરતાં પ્રામાણિકપણાથી વર્તનાર
દરિદ્રી સારો છે.
7જે દીકરો નિયમ પાળે છે તે ડાહ્યો છે;
પણ ખાઉધર માણસોનો સોબતી
પોતાના પિતાની ફજેતી કરે છે.
8જે માણસ ભારે વ્યાજ તથા નફો લઈને
પોતાની સંપત્તિ વધારે છે,
તે દરિદ્રી પર દયા રાખનારને માટે
તેનો સંગ્રહ કરે છે.
9જે માણસ નિયમનું‍ શ્રવણ કરતાં
પોતાનો કાન અવળો ફેરવી નાખે છે,
તેની પ્રાર્થના પણ કંટાળારૂપ છે.
10જે કોઈ પ્રામાણિકને કુમાર્ગે
ભટકાવી દે છે,
તે પોતે પોતાના ખાડામાં પડશે;
પણ સદાચારીને હિતનો
વારસો મળશે.
11દ્રવ્યવાન માણસ પોતાને ડાહ્યો
સમજે છે;
પણ સમજણો દરિદ્રી તેની
પરીક્ષા કરી લે છે.
12જ્યારે નેકીવાનોની ફતેહ થાય છે,
ત્યારે તે ઘણી શોભાયમાન લાગે છે;
પણ દુષ્ટોની ચઢતી થાય છે,
ત્યારે માણસો સંતાઈ જાય છે.
13જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છુપાવે છે
તેની આબાદી થશે નહિ;
પણ જે કોઈ તેમને કબૂલ કરીને
તેનો ત્યાગ કરે છે,
તેઓ પર દયા કરવામાં આવશે.
14હંમેશાં ભય રાખનાર માણસને
ધન્ય છે;
પણ જે માણસ પોતાનું હ્રદય
કઠોર કરે છે તે વિપત્તિમાં પડશે.
15ગરીબ લોકોને માથે દુષ્ટ હાકેમ હોય
તો તે ગર્જતા સિંહ તથા ભટકતા
રીંછ જેવો છે.
16જે હાકેમ અણસમજણો હોય છે તે મોટો
જુલમગાર પણ હોય છે;
પણ જે લોભનો દ્વેષ કરે છે
તેનું આયુષ્ય લંબાશે.
17જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે,
તે નાસીને ખાડામાં પડશે; કોઈએ
તેને અટકાવવો નહિ.
18જે કોઈ પ્રામાણિકપણાથી વર્તશે
તેનો બચાવ થશે;
પણ જે માણસના માર્ગો અવળા હશે
તે એકદમ પડી જશે.
19જે માણસ પોતાની જમીન ખેડે છે
તેને પુષ્કળ અનાજ મળશે;
પણ નકામાઓની પાછળ ચાલનારને
ત્યાં દરિદ્રતા આવશે.
20વિશ્વાસુ માણસ આશીર્વાદથી
ભરપૂર થશે;
પણ જે માણસ દ્રવ્યવાન થવાને
ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા
વગર રહેશે નહિ.
21આંખની શરમ રાખવી એ સારું નથી;
તેમ જ કોઈ માણસ રોટલીના ટુકડાને
માટે ગુનો કરે તે પણ [સારું નથી].
22ભૂંડી નજરવાળો દ્રવ્યની
પાછળ દોડે છે,
અને જાણતો નથી કે પોતાને
ત્યાં દરિદ્રતા આવી પડશે.
23જીભની ખુશામત કરનારના કરતાં
માણસને ઠપકો આપનાર પાછળથી
વધારે કૃપા પામશે.
24જે કોઈ પોતાના પિતાને અથવા
પોતાની માને લૂંટીને એમ કહે,
“એમાં કંઈ દોષ નથી, ”
તે નાશ કરનારનો સોબતી છે.
25જે માણસ લોભી મનનો હોય છે,
તે કજિયા સળગાવે છે;
પણ યહોવા પર ભરોસો રાખનારને
પુષ્ટ કરવામાં આવશે.
26જે માણસ પોતાના હ્રદય પર
ભરોસો રાખે છે તે મૂર્ખ છે;
પણ જે કોઈ ડહાપણથી વર્તે છે
તેનો બચાવ થશે.
27દરિદ્રીને દાન આપનારને
ખોટ પડશે નહિ;
પણ જે માણસ પોતાની આંખો મીંચી
જાય છે તેને ઘણો શાપ મળશે.
28દુષ્ટોની ઉન્‍નતિ થાય છે,
ત્યારે માણસો સંતાઈ જાય છે;
પણ તેમનો નાશ થાય છે,
ત્યારે નેકીવાનોની વૃદ્ધિ થાય છે.

હાલમાં પસંદ કરેલ:

નીતિવચનો 28: GUJOVBSI

Highlight

નકલ કરો

Compare

શેર કરો

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in