નીતિવચનો 24

24
-૧૯-
1દુષ્ટ માણસોની
અદેખાઈ ન કર,
અને તેમની સાથે રહેવાની
ઇચ્છા ન કર.
2કેમ કે તેમનું હ્રદય જુલમ કરવાને
સંકલ્પવિકલ્પ કર્યા કરે છે,
અને તેમના હોઠ ઉપદ્રવની
વાત કરે છે.
-૨૦-
3જ્ઞાન વડે ઘર બંધાય છે;
બુદ્ધિ વડે તે સ્થિર થાય છે;
4અને ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા
સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ
ભરપૂર થાય છે.
-૨૧-
5જ્ઞાની માણસ સમર્થ છે;
હા, વિદ્વાન માણસ [પોતાની]
શક્તિ વધારે છે.
6કારણ કે ચતુર [માણસની] સલાહ
પ્રમાણે તું યુદ્ધ કરશે;
અને વધારે સલાહકારીઓમાં
સલામતી છે.
-૨૨-
7જ્ઞાન એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે;
તે પોતાનું મોઢું ભાગળમાં
ઉઘાડતો નથી.
-૨૩-
8જે ભૂંડું કરવાને યુક્તિઓ રચે છે,
તેને લોકો હાનિકારક પુરુષ કહેશે.
9મૂર્ખનો વિચાર પાપી હોય છે;
અને તિરસ્કાર કરનાર
માણસથી લોકો કંટાળે છે.
-૨૪-
10જો તું સંકટને દિવસે
નાહિમ્‍મત થઈ જાય,
તો તારું બળ થોડું જ છે.
-૨૫-
11જેઓને મોતમાં ઘસડી લઈ જવામાં
આવે છે તેઓને છોડાવ,
અને જેઓ માર્યા જવાની તૈયારીમાં છે
તેઓને છોડાવવાનું ચૂકતો નહિ.
12જો તું કહે, “અમે તો એ
જાણતા નહોતા.”
તો જે અંત:કરણોની તુલના કરે છે તે
તેનો વિચાર શું કરશે નહિ?
અને જે તારા જીવનો રક્ષક છે.
તે શું નથી જાણતો?
અને શું તે દરેક માણસને તેની કરણી
પ્રમાણે ફળ આપશે નહિ?
-૨૬-
13મારા દીકરા, તું મધ ખા,
કેમ કે તે સારું છે;
અને મધનું ચાકું પણ ખા, કેમ કે
તેનો સ્વાદ તને મીઠો લાગે છે;
14જ્ઞાન પણ તારા આત્માને એવું જ
લાગે છે, એ તું જાણશે?
જો તને તે મળ્યું હોય, ત્યારે તો
તને તેનું પ્રતિફળ મળશે,
અને તારી આશા રદ જશે નહિ.
-૨૭-
15હે દુષ્ટ માણસ, નેકીવાનના ઘરની
વિરુદ્ધ લાગ તાકીને સંતાઈ ન રહે;
તેનો આશ્રમ ન લૂંટ;
16કેમ કે નેક માણસ સાત વાર પડી પડીને
પણ પાછો ઊઠે છે;
પણ દુષ્ટો વિપત્તિથી
પાયમાલ થઈ જાય છે.
-૨૮-
17તારો શત્રુ પડી જાય ત્યારે હર્ષ ન કર,
અને તે પાયમાલ થાય ત્યારે
તારા હ્રદયમાં તું મગ્ન થતો નહિ;
18રખેને યહોવા તે જુએ, અને તેથી
તે તારા પર નારાજ થાય,
અને તે પોતાનો ક્રોધ તેના પરથી
પાછો ખેંચી લે.
-૨૯-
19દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ;
અને દુષ્ટોની અદેખાઈ ન કર;
20કેમ કે દુષ્ટ માણસને કંઈ પ્રતિફળ
મળવાનું નથી!
દુષ્ટોનો દીવો હોલવી
નાખવામાં આવશે.
-૩૦-
21મારા દીકરા, યહોવાનું તથા
રાજાનું ભય રાખ
અને ડગમગતા મનના માણસના
કામમાં હાથ ન નાખ;
22કેમ કે તેમના પર વિપત્તિ
ઓચિંતી આવી પડશે;
તે બન્‍નેના [તરફથી આવતા]
વિનાશની ખબર કોને છે?
વધુ જ્ઞાનવચનો
23આ પણ જ્ઞાનીઓનાં [વચન] છે.
ઇનસાફમાં આંખની શરમ રાખવી
તે યોગ્ય નથી.
24જે કોઈ દુષ્ટને કહે છે, “તું નેક છે;”
તેને લોકો શાપ આપશે, અને
તેનાથી પ્રજાઓ કંટાળી જશે;
25પણ તેને ધમકાવનારાઓને
આનંદ થશે,
અને તેમના ઉપર ઘણો
આશીર્વાદ આવશે.
26જે સત્ય ઉત્તર આપે છે,
તે હોઠોનું ચુંબન કરે છે.
27તારું બહારનું કામ તૈયાર રાખ,
તારા ખેતર [નું કામ] તૈયાર કર;
અને ત્યાર પછી તારું ઘર બાંધ.
28વિનાકારણ તારા પડોશી વિરુદ્ધ
સાક્ષી ન પૂર;
અને તારા હોઠોથી ઠગાઈ ન કર.
29“જેવું તેણે મને કર્યું છે, તેવું
હું તેને કરીશ” એમ તું ન કહે;
તે માણસને તેના કામ પ્રમાણે
હું બદલો આપીશ.
30હું આળસુના ખેતર પાસે થઈને
તથા બેવકૂફ માણસની દ્રાક્ષાવાડી
પાસે થઈને જતો હતો;
31મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં
ઊગી નીકળ્યાં હતાં,
તેની સપાટી ગોખરુઓથી
ઢંકાઈ ગયેલી હતી,
અને તેની પથ્થરની ભીંત તૂટી
પડેલી હતી.
32તે પર મેં સારી રીતે વિચાર કર્યો;
હું સમજ્યો, અને
મને શિખામણ મળી.
33 # નીતિ. ૬:૧૦-૧૧. હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ
[લેવા દો] ,
થોડીક વાર હાથ વાળીને સૂવા દો;
34એમ કરવાથી તારી દરિદ્રતા
લૂંટારાની જેમ,
તથા તારી કંગાલાવસ્થા હથિયારબંધ
માણસની જેમ ચઢી આવશે.

હાલમાં પસંદ કરેલ:

નીતિવચનો 24: GUJOVBSI

હાઇલાઇટ

નકલ કરો

તુલના કરો

શેર કરો

None

શું તમે તમારા બધા ઉપકરણો પર તમારા હાઇલાઇટ્સ સાચવવા માંગો છો? સાઇન અપ અથવા સાઇન ઇન કરો