નીતિવચનો 23

23
-૬-
1જ્યારે તું અધિકારીની સાથે
જમવા બેસે,
ત્યારે તારી આગળ જે કંઈ હોય
તે પર સારી રીતે ધ્યાન રાખ;
2જો તું ખાઉધર હોય,
તો તારે ગળે છરી મૂક.
3તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી
લોભાઈ ન જા;
કેમ કે તે કપટી ભોજન છે.
-૭-
4દ્રવ્યવાન થવા માટે [તન તોડીને]
મહેનત ન કર;
તારું પોતાનું ડહાપણ મૂકી દે.
5જે કંઈ વિસાતનું નથી તે પર
તું તારી દષ્ટિ ચોંટાડશે?
કેમ કે દ્રવ્ય ગગનમાં ઊડી જનાર
ગરૂડ પક્ષીના જેવી
પાંખો નિશ્ચે ધારણ કરે છે.
-૮-
6કંજૂસ માણસનું અન્‍ન ન ખા,
તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી
લોભાઈ ન જા;
7કેમ કે જેવો તે વિચાર કરે છે,
તેવો જ તે છે!
તે તને કહે છે, “ખાઓ, પીઓ;”
પરંતુ તેનું મન તારા પ્રત્યે નથી.
8જે કોળિયો તેં ખાધો હશે,
તે તારે ઓકી કાઢવો પડશે,
અને તારાં મીઠાં વચનો રદ જશે.
-૯-
9મૂર્ખના સાંભળતાં બોલ નહિ;
કેમ કે તારા શબ્દોના ડહાપણને
તે તુચ્છ ગણશે.
-૧૦-
10અસલનાં સીમા-પથ્થરો ન ખસેડ;
અને અનાથનાં ખેતરોમાં
પ્રવેશ ન કર;
11કેમ કે તેઓનો ઉદ્ધાર કરનાર
સમર્થ છે;
તે તારી વિરુદ્ધ તેના પક્ષની
હિમાયત કરશે.
-૧૧-
12શિખામણ પર તારું મન લગાડ,
અને જ્ઞાનના શબ્દોને તારા કાન દે.
-૧૨-
13બાળકને શિક્ષા કરવાથી પાછો ન હઠ;
જો તું તેને સોટી મારશે તો
તે કંઈ મરી જશે નહિ.
14તારે તેને સોટી મારવી,
અને તેના આત્માને શેઓલમાં
જતાં ઉગારવો.
-૧૩-
15મારા દીકરા, જો તારું હ્રદય જ્ઞાની થશે,
તો મારું હ્રદય હરખાશે;
16જ્યારે તારા હોઠો નેક વાત બોલશે,
ત્યારે મારું અંતર હરખાશે.
-૧૪-
17તારા હ્રદયને પાપીઓની અદેખાઈ
કરવા ન દે,
પણ આખો દિવસ
યહોવાનું ભય રાખ;
18કેમ કે નિશ્ચે બદલો [મળવાનો] છે;
અને તારી આશા રદ જશે નહિ.
-૧૫-
19મારા દીકરા, તું સાંભળીને
ડહાપણ પકડ,
અને તારા હ્રદયને [ખરા]
માર્ગમાં ચલાવ.
20દ્રાક્ષારસ પીનારાઓની,
તથા માંસના ખાઉધરાની
સોબત ન કર.
21કેમ કે દારૂડિયો તથા ખાઉધરો
કંગાલાવસ્થામાં આવશે;
અને અકરાંતિયાવેડા [તેમને]
ચીંથરેહાલ કરશે.
-૧૬-
22તારા પોતાના પિતાનું [કહેવું] સાંભળ,
અને તારી મા વૃદ્ધ થાય ત્યારે
તેને તુચ્છ ન ગણ.
23સત્ય ખરીદ, અને તેને વેચી ન દે;
હા, જ્ઞાન, શિખામણ તથા બુદ્ધિ
પણ [વેચી ન દે].
24નેકીવાન [દીકરા] નો પિતા
ઘણો હરખાશે;
અને જે શાણો છોકરો હશે તે તેના
જન્મ આપનારને આનંદ આપશે. q1 25તારા પિતાને તથા
તારી માને ખુશ રાખ,
અને તારી જનેતાને હર્ષ પમાડ.
-૧૭-
26મારા દીકરા, તારું અંત:કરણ
મને સોંપી દે,
અને તારી આંખો મારા માર્ગોમાં
મગ્ન રહો.
27વેશ્યા એક ઊંડી ખાઈ છે;
અને પરનારી એ સાંકડો ખાડો છે.
28તે લૂંટારાની જેમ સંતાઈને
તાકી રહે છે,
અને માણસોમાં કપટીઓનો
વધારો કરે છે.
-૧૮-
29કોને અફસોસ છે? કોને હાય હાય છે?
કોને કજિયા છે?
કોને વિલાપ છે? કોને વિનાકારણ
ઘા પડે છે?
કોની આંખોમાં રતાશ છે?
30જે ઘણી વાર સુધી દ્રાક્ષારસ પીયા કરે છે
તેઓને;
જેઓ મિશ્ર મધ શોધવા
જાય છે તેઓને.
31જ્યારે દ્રાક્ષારસ રાતો હોય,
જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ
પ્રકાશતો હોય,
જ્યારે તે સરળતાથી પેટમાં
ઊતરતો હોય,
ત્યારે તે પર તું દષ્ટિ ન કર;
32આખરે તે સર્પની જેમ કરડે છે,
અને નાગની જેમ ડસે છે,
33તારી આંખો અવનવા દેખાવ જોશે,
અને તારું હ્રદય વિપરીત
વાતો ભાખશે.
34હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે,
કોઈ [વહાણના] ડોલની ટોચ પર
આડો પડેલો હોય,
તેના જેવો તું થશે.
35[તું કહેશે,] “લોકોએ મને માર્યો છે,
પણ મને વાગ્યું નથી;
તેઓએ મને ઝૂડી નાખ્યો છે,
પણ મને તે માલૂમ પડ્યું નથી;
હું ક્યારે જાગીશ? મારે ફરી
એક વાર પીવું છે.”

હાલમાં પસંદ કરેલ:

નીતિવચનો 23: GUJOVBSI

હાઇલાઇટ

નકલ કરો

તુલના કરો

શેર કરો

None

શું તમે તમારા બધા ઉપકરણો પર તમારા હાઇલાઇટ્સ સાચવવા માંગો છો? સાઇન અપ અથવા સાઇન ઇન કરો