નીતિવચનો 30

30
આગૂરનાં વચનો
1યાકેના પુત્ર આગૂરનાં વચનો,
જે ઈશ્વરવાણી છે.
[કોઈ] માણસ ઈથિયેલને, ઈથિયેલ
તથા ઉક્કાલને [આ પ્રમાણે] કહે છે,
2“નિશ્ચય હું કોઈ પણ માણસ કરતાં
અધિક પશુવત છું,
અને મારામાં મનુષ્યબુદ્ધિ નથી.
3હું જ્ઞાન પણ શીખ્યો નથી,
તેમ જ મને પવિત્ર
[ઈશ્વર] નું જ્ઞાન નથી.
4આકાશમાં કોણ ચઢ્યો અને
પાછો ઊતર્યો?
કોણે પવનને પોતાની મુઠ્ઠીમાં
સમેટી લીધો છે?
કોણે પોતાના વસ્‍ત્રમાં પાણી
બાંધી લીધાં છે?
પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે?
જો તું જાણતો હોય તો [કહે] ,
તેનું નામ શું છે,
અને તેના દીકરાનું નામ શું છે?
5પરમેશ્વરનું દરેક વચન પરખેલું છે;
જેઓ પરમેશ્વર પર ભરોસો રાખે છે
તેમની તે ઢાલ છે.
6તેમનાં વચનોમાં તું ઉમેરો ન કર,
રખેને તે તને ઠપકો દે,
અને તું જૂઠો ઠરે.”
અન્ય નીતિવચનો
7“હે પ્રભુ, મેં તમારી પાસેથી
બે વરદાન માગ્યાં છે;
મારા મૃત્યુ પહેલાં મને
તેની ના ન પાડતા;
8[તે એ કે] વ્યર્થતા તથા જૂઠ
મારાથી દૂર કરો;
મને દરિદ્રતા ન આપો,
તેમજ દ્રવ્ય પણ ન આપો;
મારે માટે અગત્યનું હોય
તેટલા અન્‍નથી મારું પોષણ કરો;
9રખેને હું છલકાઈ જાઉં, અને તમારો
નકાર કરીને કહું કે,
‘યહોવા કોણ છે?’
અથવા રખેને હું દરિદ્રી થઈને
ચોરી કરું,
અને મારા ઈશ્વરના નામની
નિંદા કરાવું.”
10ચાકરની ચાડી તેના શેઠ આગળ ન કર,
રખેને તે તને શાપ દે,
ને તું દોષપાત્ર ઠરે.
11એવી પણ એક પેઢી છે કે જે
પોતાના પિતાને શાપ આપે છે,
અને પોતાની માને
આશીર્વાદ આપતી નથી.
12એવી પણ પેઢી છે કે જે પોતાને
પવિત્ર માને છે,
પરંતુ તે પોતાની મલિનતામાંથી
સ્વચ્છ થતી નથી.
13એવી પણ પેઢી છે કે જેની આંખો કેટલી
બધી ઊંચી ચઢેલી છે;
અને તેનાં પોપચાં ઊંચાં કરેલાં છે.
14એવી પણ પેઢી છે કે જેના
દાંત તરવાર જેવા,
અને જેની દાઢો ચપ્પુ જેવી છે!
તે વડે તેઓ ગરીબોને પૃથ્વી પરથી,
અને કંગાલોને માણસોમાંથી
ખાઈ જાય છે.
15“આપ આપ, ” એ [નામની] જળોને
બે દીકરીઓ છે.
કદી તૃપ્ત થતાં નથી એવાં
ત્રણ વાનાં છે,
અને જે એમ કહેતાં જ નથી,
કે “બસ, ” એવાં ચાર [વાનાં] છે:
16એટલે શેઓલ; વાંઝણીનું ઉદર;
પાણીથી નહિ તૃપ્ત થતી જમીન;
તથા “બસ” નહિ કહેનાર અગ્નિ.
17જે આંખ પોતાના પિતાની
મશ્કરી કરે છે.
અને જે પોતાની માની આજ્ઞા
માનવાનું તુચ્છ ગણે છે,
તેને ખીણના કાગડા કોચી કાઢશે.
અને ગીધનાં બચ્‍ચાં તેને ખાઈ જશે.
18ત્રણ વાનાં મને એવાં આશ્ચર્યકારક
લાગે છે કે તેઓ મારી
સમજમાં આવતાં નથી;
હા, ચાર [વાનાં] હું જાણતો નથી:
19[એટલે] વાયુમાં ગરૂડનો માર્ગ;
ખડક ઉપર સર્પનો માર્ગ;
ભરસમુદ્રમાં વહાણનો માર્ગ;
અને કુમારી સાથે પુરુષનો માર્ગ.
20વ્યભિચારી સ્‍ત્રીનો માર્ગ પણ
એવો જ છે;
તે ખાઈને પોતાનું મોં લૂછે છે,
અને કહે છે, “મેં કંઈ
કુકર્મ કર્યું નથી.”
21ત્રણ વાનાંને લીધે, હા, ચાર વાનાંને
લીધે પૃથ્વી કાંપે છે;
કેમ કે તે તેને સહન કરી શકતી નથી:
22[એટલે] રાજપદવી પામેલા
ચાકરને લીધે;
અન્‍નથી તૃપ્ત થયેલા મૂર્ખને લીધે;
23પરણેલી કર્કશાને લીધે;
અને પોતાની શેઠાણીની વારસ
થયેલી દાસીને લીધે.
24ચાર વાનાં પૃથ્વી પર નાનાં છે,
પણ તેઓ અતિશય શાણાં છે.
25કીડી કંઈ બળવાન પ્રજા નથી,
પણ તેઓ ઉનાળામાં પોતાનો
ખોરાક ભેગો કરે છે;
26સસલાં તો ઘણી જ નિર્બળ પ્રજા છે.
તોપણ તેઓ પોતાનાં રહેઠાણ
ખડકોમાં બનાવે છે;
27તીડોને રાજા હોતો નથી,
તોપણ તેઓ સર્વ ટોળાબંધ
નીકળે છે;
28ઘરોળીને તું તારા હાથથી
પકડી શકે છે,
તોપણ તે રાજાઓના મહેલોમાં
[હરેફરે] છે.
29ત્રણ પ્રાણીઓની ગતિ રુઆબદાર
હોય છે,
હા, ચારની ચાલ દમામદાર હોય છે:
30એટલે સિંહ જે પશુઓમાં
સૌથી બળવાન છે,
અને કોઈને લીધે પોતાનો
માર્ગ મરડતો નથી;
31વળી શિકારી કૂતરો; તથા બકરો;
તેમ જ રાજા કે જેની સામે
થઈ શકાય નહિ.
32જો ગર્વિષ્ઠ થવાની મૂર્ખાઈ તેં કરી હોય,
અથવા તેં ભૂંડો વિચાર કર્યો હોય,
તો તારો હાથ તારા મોં પર [મૂક].
33કેમ કે દૂધ વલોવ્યાથી
માખણ નીપજે છે,
અને નાક મચડ્યાથી લોહી નીકળે છે;
તેમજ ક્રોધને છંછેડ્યાથી
ઝઘડો ઊભો થાય છે.

હાલમાં પસંદ કરેલ:

નીતિવચનો 30: GUJOVBSI

Highlight

નકલ કરો

Compare

શેર કરો

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in