Logo de la Biblia App
Ícono Búsqueda

પ્રે.કૃ. 8

8
શાઉલ અને મંડળીની સતાવણી
1શાઉલે તેની હત્યા કરવાની સંમતિ આપી હતી, તે જ દિવસે યરુશાલેમના વિશ્વાસી સમુદાય પર ભારે સતાવણી શરૂ થઈ, અને પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરુનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા. 2ધર્મનિષ્ઠ પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને સારુ ઘણો વિલાપ કર્યો. 3પણ શાઉલે વિશ્વાસી સમુદાયને ભારે ત્રાસ આપ્યો, એટલે ઘેરેઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને જેલમાં પૂર્યા.
સમરુનમાં સુવાર્તાપ્રચાર
4જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ બધે સુવાર્તા પ્રગટ કરતા ગયા. 5ફિલિપે સમારીઆ શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિષે પ્રચાર કર્યો.
6ફિલિપે કહેલી વાતો સાંભળીને તથા કરેલા ચમત્કારિક ચિહ્નો જોઈને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું. 7કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણાંમાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા, અને ઘણાં પક્ષઘાતીઓ તથા પગે અપંગો સાજાં કરવામાં આવ્યા. 8અને તે શહેરમાં બહુ આનંદ થયો.
9પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો, અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરુનના લોકોને આશ્ચર્યચકિત કરી નાખતો હતો; 10તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતાં કે, ઈશ્વરનું જે મહાન પરાક્રમ કહેવાય છે, તે આ વ્યક્તિ છે. 11તેણે ઘણાં સમય સુધી પોતાની જાદુક્રિયાઓથી તેઓને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા, તેથી તેઓ તેનું સાંભળતાં હતા.
12પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તનાં નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્ત્રીઓએ બાપ્તિસ્મા લીધું. 13સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામીને ફિલિપ સાથે રહ્યો; અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતાં જોઈને તે આશ્ચર્ય પામ્યો.
14હવે સમરુનીઓએ ઈશ્વરનું વચન સ્વીકાર્યું છે એવું યરુશાલેમમાં પ્રેરિતોએ સાંભળ્યું, ત્યારે તેઓએ પિતર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા. 15તેઓએ ત્યાં પહોંચ્યાં પછી તેઓને સારુ પ્રાર્થના કરી કે તેઓ પવિત્ર આત્મા પામે; 16કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈ પર પવિત્ર આત્મા ઊતર્યો નહોતો; પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા. 17પછી પિતર તથા યોહાને તેઓ પર હાથ મૂક્યા, અને તેઓ પવિત્ર આત્મા પામ્યા.
18હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા. 19તેણે કહ્યું કે, તમે મને પણ એ અધિકાર આપો કે જેનાં પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.
20પણ પિતરે તેને કહ્યું કે, ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તેં વિચાર્યું માટે તારા પૈસા તારી સાથે નાશ પામો. 21આ બાબતમાં તારે કશી લેવા દેવા નથી. કારણ કે તારું અંતઃકરણ ઈશ્વરની આગળ પ્રમાણિક નથી. 22માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને પ્રાર્થના કર કે, કદાચ તારા અંતઃકરણના વિચાર તને માફ થાય. 23કેમ કે હું જોઉં છું કે તું કડવાશમાં અને પાપના બંધનમાં છે.
24ત્યારે સિમોને ઉત્તર આપ્યો કે, તમારી કહેલી વાતો મુજબ કંઈ પણ મને ના થાય તે માટે તમે મારે માટે પ્રભુને પ્રાર્થના કરો.
25હવે ત્યાં સાક્ષી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કર્યા પછી સમરૂનીઓનાં ઘણાં ગામોમાં સુવાર્તા પ્રગટ કરીને તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.
ફિલિપ અને ઇથિયોપિયાનો અધિકારી
26હવે પ્રભુના એક સ્વર્ગદૂતે ફિલિપને કહ્યું કે, ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે. 27તે ઊઠીને ગયો; અને જુઓ, ત્યાં ઇથિયોપિયાનો એક ખોજો કે જે ઇથિયોપિયાની રાણી કંદિકાના હાથ નીચે મોટો અધિકારી તથા તેના સઘળા ભંડારનો કારભારી હતો, તે ભજન કરવા સારુ યરુશાલેમમાં આવ્યો હતો. 28તે પાછા જતા પોતાના રથમાં બેસીને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતો હતો.
29આત્માએ ફિલિપને કહ્યું કે, તું પાસે જઈને એ રથની સાથે થઈ જા. 30ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો, અને તેને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતા સાંભળીને પૂછ્યું કે, તું જે વાંચે છે તે શું તું સમજે છે? 31ત્યારે તેણે કહ્યું કે, કોઈનાં સમજાવ્યાં સિવાય હું કેમ કરીને સમજી શકું? તેણે ફિલિપને વિનંતી કરી કે, મારા રથમાં ઉપર આવી મારી પાસે બેસ.
32શાસ્ત્રવચનનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, “ઘેટાંની પેઠે મારી નંખાવાને તેમને લઈ જવાયા; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેમણે પોતાનું મુખ ઉઘાડ્યું નહિ; 33તેમની દીનાવસ્થામાં તેમનો ન્યાય ડૂબી ગયો; તેમના જમાનાનાં લોકનું વર્ણન કોણ કહી દેખાડશે? કેમ કે તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો.”
34ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર દેતાં કહ્યું કે, હું તને વિનંતી કરું છું કે, પ્રબોધક કોનાં વિષે એ કહે છે? પોતાના વિષે કે કોઈ બીજાના વિષે? 35ત્યારે ફિલિપે કહેવાનું શરૂ કર્યું અને શાસ્ત્રવચનની તે વાતથી આરંભ કરીને તેને ઈસુ વિષેની સુવાર્તા પ્રગટ કરી.
36માર્ગમાં તેઓ એક જળાશય પાસે આવી પહોંચ્યા; ત્યારે ખોજાએ કહ્યું કે, જો, અહીં પાણી છે, બાપ્તિસ્મા પામવાથી મને શું અટકાવી શકે? 37ત્યારે ફિલિપે કહ્યું કે, જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે; ખોજાએ ઉત્તર દેતાં કહ્યું કે, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, એવું હું માનું છું. 38પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો, અને ફિલિપ તથા ખોજો બન્ને જણ પાણીમાં ઊતર્યા, ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.
39તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો; અને ખોજાએ ફરી ફિલિપને જોયો નહિ, પરંતુ તે આનંદ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યો ગયો. 40પણ ફિલિપ આશ્દોદમાં દેખાયો; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંના સર્વ શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.

Actualmente seleccionado:

પ્રે.કૃ. 8: IRVGuj

Destacar

Copiar

Comparar

Compartir

None

¿Quieres guardar tus resaltados en todos tus dispositivos? Regístrate o Inicia sesión