રોમ. 6
6
પાપ સંબંધી મૃત અને ખ્રિસ્તમાં નવું જીવન
1ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? 2ના, એવું ન થાઓ; આપણે પાપના સંબંધી મૃત્યુ પામ્યા, તો પછી એમાં કેમ જીવીએ? 3શું તમે નથી જાણતા કે, આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા.
4તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. 5કેમ કે જો આપણે તેમના મરણની સમાનતામાં તેમની સાથે જોડાયાં, તો તેમના મરણોત્થાનની સમાનતામાં પણ જોડાયેલાં થઈશું.
6આપણે જાણીએ છીએ કે આપણું જૂનું મનુષ્યત્વ તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય; એટલે હવે પછી આપણે પાપના દાસત્વમાં રહીએ નહિ. 7કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે.
8પણ જો આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામેલા છીએ, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા. 9કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા અને તે ફરી મૃત્યુ પામનાર નથી; હવે પછી મૃત્યુનો અધિકાર તેમના પર નથી.
10કેમ કે તેઓ મર્યા, એટલે પાપ સંબંધી એક જ વાર મૃત્યુ પામ્યા, પણ તેઓ જીવે છે એટલે ઈશ્વર સંબંધી જીવે છે. 11તેમ તમે પોતાને પણ પાપ સંબંધી મૃત્યુ પામેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સંબંધી જીવતા ગણો.
12તે માટે તમે પાપની દુર્વાસનાઓને આધીન થઈને પાપને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. 13અને તમારા અવયવોને અન્યાયનાં સાધનો થવા માટે પાપને ન સોંપો; પણ મૃત્યુમાંથી સજીવન થયેલા જેવા તમે પોતાને ઈશ્વરને સોંપો તથા તમારા અવયવોને ન્યાયીપણાનાં સાધનો થવા માટે ઈશ્વરને સોંપો. 14પાપને તમારા પર રાજ કરવા ન દો, કેમ કે તમે નિયમશાસ્ત્રને નહિ, પણ કૃપાને આધીન છો.
પાપની ગુલામીમાંથી મુક્ત થવાનો માર્ગ
15તો શું, આપણે નિયમશાસ્ત્રને નહિ, પણ કૃપાને આધીન છીએ, તેથી શું પાપ કર્યા કરીએ? ના, એવું ન થાઓ. 16શું તમે નથી જાણતા કે, જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો, તેના દાસ તમે છો; ગમે તો મોતને અર્થે પાપના, અથવા ન્યાયીપણાને અર્થે આજ્ઞાપાલનના?
17પણ ઈશ્વરનો આભાર કે તમે પાપના દાસ હોવા છતાં જે બોધ તમને કરવામાં આવ્યો, તે તમે હૃદયપૂર્વક સ્વીકાર્યો. 18તે રીતે તમે પાપથી મુક્ત થઈને, ન્યાયીપણાના દાસ થયા.
19તમારા દેહની નિર્બળતાને લીધે હું મનુષ્યની રીતે વાત કરું છું. જેમ તમે પોતાનાં અંગોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યાં હતા, તેમ હમણાં પોતાનાં અંગો પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો. 20કેમ કે જેવા તમે પાપના દાસ હતા તેવા તમે ન્યાયીપણાથી સ્વતંત્ર હતા. 21તો જે ખરાબ કામોથી તમે હમણાં શરમાઓ છો, તેનાથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે કામોનું પરિણામ મૃત્યુ છે.
22પણ હમણાં પાપથી મુક્ત થઈને ઈશ્વરના દાસ થયા હોવાથી તમને પવિત્રતાને અર્થે પ્રતિફળ અને અંતે અનંતજીવન મળે છે. 23કેમ કે પાપનું પરિણામ મૃત્યુ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.
Actualmente seleccionado:
રોમ. 6: IRVGuj
Destacar
Copiar
Comparar
Compartir
¿Quieres guardar tus resaltados en todos tus dispositivos? Regístrate o Inicia sesión
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.