Logo de la Biblia App
Ícono Búsqueda

પ્રે.કૃ. 14

14
ઈકોનિયામાં
1ઈકોનિયામાં તેઓ બંને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા, અને એવી રીતે બોલ્યા કે ઘણાં યહૂદીઓએ તથા ગ્રીક લોકોએ વિશ્વાસ કર્યો. 2પણ અવિશ્વાસી યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેરીને તેઓનાં મનમાં ભાઈઓની સામે ઉશ્કેરાટ ઊભો કર્યો.
3તેથી તેઓ લાંબા સમય સુધી ત્યાં રહીને પ્રભુની સહાયથી હિંમતથી બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની મધ્યે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થવા દઈને પોતાની કૃપાના વચનના સમર્થનમાં સાક્ષી આપી. 4પણ શહેરના લોકોમાં ભાગલા પડ્યા, કેટલાક યહૂદીઓના પક્ષમાં રહ્યા અને કેટલાક પ્રેરિતોના પક્ષમાં રહ્યા.
5તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા સારુ જયારે બિનયહૂદીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત યોજના કરી. 6ત્યારે તેઓ તે જાણીને લુકાનિયાનાં શહેરો લુસ્ત્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં વિખેરાઈ ગયા; 7ત્યાં તેઓએ સુવાર્તા પ્રગટ કરી.
લુસ્ત્રા અને દેર્બેમાં
8લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો. 9તેણે પાઉલને બોલતાં સાંભળ્યો. પાઉલે તેની તરફ એક નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે, 10એ જાણીને મોટે સ્વરે કહ્યું કે, ‘તું પોતાને પગે સીધો ઊભો રહે.’ ત્યારે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.
11પાઉલે જે ચમત્કાર કર્યો હતો તે જોઈને લોકોએ લુકાનિયાની ભાષામાં મોટે સ્વરે કહ્યું કે, માણસોનું રૂપ ધારણ કરીને દેવો આપણી પાસે ઊતરી આવ્યા છે. 12તેઓએ બાર્નાબાસને ઝૂસ માન્યો, અને પાઉલને હેર્મેસ માન્યો, કેમ કે પાઉલ મુખ્ય બોલનાર હતો. 13ઝૂસનું મંદિર એ શહેરની બહાર હતું તેનો પૂજારી બળદો તથા ફૂલના હાર શહેરના દરવાજાએ લાવીને લોકો સાથે બલિદાન ચઢાવવા ઇચ્છતો હતો.
14પણ બાર્નાબાસ તથા પાઉલ તથા પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, અને લોકોમાં દોડીને મોટે સ્વરે કહ્યું કે, 15‘સદ્દગૃહસ્થો તમે એ કામ કેમ કરો છો? અમે પણ તમારા જેવા માણસ છીએ, આ વ્યર્થ વાતો મૂકીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો, કે જે જીવતા ઈશ્વર છે તેમની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ. 16તેમણે તો ભૂતકાળમાં સર્વ લોકોને પોતપોતાને માર્ગે ચાલવા દીધાં.
17તોપણ ભલું કરીને આકાશમાંથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપીને, અને અન્નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરીને તેઓ ઈશ્વર પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી. 18પાઉલે અને બાર્નાબાસે લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતાં તેઓને મુશ્કેલીથી અટકાવ્યા.
19પણ અંત્યોખ તથા ઈકોનિયાથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા, અને તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું માનીને તેને ઘસડીને શહેર બહાર લઈ ગયા. 20પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા એવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દેર્બે ગયો.
સિરિયાનાં અંત્યોખમાં બંને પાછા આવ્યા
21તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી, ઘણાં શિષ્યો બનાવ્યા પછી તેઓ લુસ્ત્રા, ઈકોનિયા થઈને અંત્યોખમાં પાછા આવ્યા, 22શિષ્યોનાં મન સ્થિર કરતાં પાઉલ તથા બાર્નાબાસે વિશ્વાસીઓને વિશ્વાસમાં ટકી રહેવાને વચનમાંથી શીખવ્યું, અને કહ્યું કે, આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.’
23તેઓએ દરેક વિશ્વાસી સમુદાયમાં તેઓને સારુ વડીલોની નિમણૂક કરી અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓને જે પ્રભુ પર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યાં. 24પછી તેઓ પીસીદિયા થઈને પામ્ફૂલિયા આવ્યા. 25અને પેર્ગામાં ઉપદેશ કર્યા પછી તેઓ અત્તાલિયા આવ્યા. 26પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારુ તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા.
27તેઓએ ત્યાં આવીને વિશ્વાસી સમુદાયને એકત્ર કરીને જે કામ ઈશ્વરે તેઓની હસ્તક કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને સારુ વિશ્વાસનું દ્વાર ખોલ્યું છે તે વિશે તેઓને કહી સંભળાવ્યું. 28શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણાં દિવસ રહ્યા.

Actualmente seleccionado:

પ્રે.કૃ. 14: IRVGuj

Destacar

Copiar

Comparar

Compartir

None

¿Quieres guardar tus resaltados en todos tus dispositivos? Regístrate o Inicia sesión