YouVersion Logo
Search Icon

ઝખાર્યા 14

14
નિર્ણયનો દિવસ
1જુઓ, યહોવાનો એક દિવસ આવશે, જ્યારે યરૂશાલેમમાંથી લીધેલી લૂંટ તમારા દેખતાં વહેંચી લેવાશે. 2કારણકે યહોવા બધી પ્રજાઓને યરૂશાલેમ સામે યુદ્ધે ચઢવા ભેગી કરશે, નગર કબજે કરવામાં આવશે. ઘરો લૂંટી લેવામાં આવશે અને સ્ત્રીઓને ષ્ટ કરવામાં આવશે; અડધું નગર દેશવટે જશે, પરંતુ બાકીના લોકો નગરમાં જ રહેશે. 3ત્યારબાદ યહોવા પોતે લડાઇને માટે સુસજ્જ થઇને તે દેશોની વિરુદ્ધ લડવા માટે જશે. 4તે દિવસે યહોવા યરૂશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે, પછી એ જૈતૂન પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી બે ભાગમાં વહેચાંઇ જશે, અને વચ્ચે એક મોટી ખીણ થઇ જશે, અડધો પર્વત ઉત્તર તરફ હઠી જશે અને બાકીનો અડધો દક્ષિણ તરફ. 5તમે પર્વતોની વચ્ચેની ખીણમાં થઇને નાસી જશો. તમારા વડવાઓ યહૂદિયાના રાજા ઉઝિઝયાના અમલ દરમ્યાન ધરતીકંપ વખતે ભાગી ગયેલા જેવા તમે લાગશો.
6ત્યારબાદ તમારા દેવ યહોવા પોતાની સાથે સર્વ પવિત્ર લોકોને લઇને આવશે. 7તે દિવસે એ ખૂબ મહત્વનો દિવસ હશે, દિવસ પણ નહિ અને રાત પણ નહિ, ફકત યહોવા જ જાણે છે કે તે કેવી રીતે બનશે, સાંજે પણ અજવાળું હશે. 8તે દિવસે યરૂશાલેમમાંથી ઝરણું વહેવા માંડશે; અડધું પૂર્વ સમુદ્રમાં જશે અને અડધું પશ્ચિમ સમુદ્રમાં જશે. એ ઉનાળામાં તેમ જ શિયાળામાં પણ સતત વહેતું જ રહેશે. 9પછી યહોવા આખી પૃથ્વી ઉપર રાજ્ય કરશે. તે વખતે યહોવા જ એક દેવ હશે અને તે એક જ નામે ઓળખાશે. 10યરૂશાલેમની આસપાસનો સમગ્ર પ્રદેશ ઉત્તરમાં ગેબાના મેદાનથી તે દક્ષિણમાં રિમ્મોન સુધી સપાટ મેદાન થઇ જશે, પણ યરૂશાલેમ બિન્યામીનના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી જ્યાં પહેલાં એક દરવાજો હતો, અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષ ગૂંદવાના કૂંડાઓ સુધી, પોતાની જગ્યાએ ઊંચું જ રહેશે. 11લોકો ત્યાં રહેવા માટે જશે. એના ઉપર પછી કદી શાપ ઉતરશે નહિ. યારૂશલેમ સહીસલામત રહેશે.
12યરૂશાલેમ સામે યુદ્ધે ચઢનાર બધી પ્રજાઓમાં યહોવા આવો એક રોગ ફેલાવશે; તેઓ ઊભા હશે ત્યાં જ તેમનું માંસ સડી જશે, તેમની આંખો તેમના ગોખલામાં સડી જશે, અને તેમની જીભ તેમના મોઢામાં જ સડી જશે. 13તે વખતે યહોવા તેમને એવા તો ભયભીત તથા બેબાકળા બનાવી દેશે કે દરેક જણ પોતાની પાસેનાનો હાથ પકડી તેને મારવા લાગશે. તેઓ એકબીજા સાથે લડશે.
14ત્યારે યહૂદિયા યરૂશાલેમની સામે થશે, આમ બનશે, જ્યારે બધી પ્રજાઓની સંપત્તિ, સોનું, ચાંદી અને કપડાં એકઠા કરવામાં આવશે. 15આ મરકીનો રોગ દુશ્મનોની છાવણીના ઘોડા, ખચ્ચરો, ઊંટો, ગધેડાં અને બીજા બધા જ પ્રાણીઓને લાગુ પડશે. 16ત્યારબાદ યરૂશાલેમ સામે યુદ્ધે ચઢેલી પ્રજાઓમાંથી બચવા પામેલા માણસો વર્ષોવર્ષ યહોવાની ઉપાસના કરવા અને માંડવાપર્વ ઊજવવા યરૂશાલેમ જશે. 17અને પૃથ્વી પરની કોઇ પણ પ્રજા સૈન્યોનો દેવ યહોવાની ઉપાસના કરવા ત્યાં જશે, નહિ તો તેના દેશમાં વરસાદ નહી વરસે. 18પરંતુ જો મિસરના લોકો યરૂશાલેમ જવા અને પ્રાર્થનામાં ભાગ લેવા ના પાડશે તો તેઓને મોત ભોગવવું પડશે. માંડવા પર્વની ઉજવણીમાં ભાગ ન લેવા માટે લોકો દુ:ખી થશે. 19મિસર અને બીજા સર્વ દેશો જેઓ માંડવાપર્વ ઊજવવા યરૂશાલેમ જવા ના પાડે છે, તેઓ સર્વને આ શિક્ષા કરવામાં આવશે.
20તે દિવસે ઘોડાઓ પરની ઘંટડીઓ ઉપર લખેલું હશે, યહોવાને સમર્પિત અને યહોવાના મંદિરમાં સામાન્ય વાસણો વેદી આગળનાં વાસણો જેવા પવિત્ર હશે; 21અને યહૂદિયા અને યરૂશાલેમનું એકેએક વાસણ સૈન્યોનો દેવ યહોવાને માટે પવિત્ર થશે.
ભકિત કરવા આવનાર સૌ કોઇ બલિદાનને બાફવા માટે તેનો વિના મૂલ્યે ઉપયોગ કરી શકશે; અને તે વખતે સૈન્યોનો દેવ યહોવાના મંદિરમાં કોઇ વેપારી નહિ હોય.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in